અમદાવાદ: અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. મંગળવારથી સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે. જી હા…ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે. વાહન ચાલકો તેમના પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. હડતાળના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્કૂલ વર્ધી વેન અને રીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેના લીધે ચોક્કસથી વાલીઓની મુશ્કેલી વધશે.એસોસિએશન દ્વારા મંગળવારથી રિક્ષા ન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ રીક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ છે. અમદાવાદ સહિત રાજ્યભરના રિક્ષા અને વેન સંચાલકોની બેઠકમાં નિર્ણય લેવાયો છે. એક વર્ષથી રજૂઆતો કરવા છતાં પાર્સિંગ પ્રક્રિયા ન કરાઈ અને રાજકોટની ઘટના બાદ વિભાગ જાગ્યું હોવાનું એસોસિએશનનું કહેવું છે.
સ્કૂલ વાહન ચાલકોએ તેમના કેટલાક પડતર પ્રશ્નો અને મંથર ગતિએ થતી પાસિંગ પ્રક્રિયા સહિતની કેટલીક સમસ્યાનો ઉકેલ ના આવતાં અંતે મંગળવારથી હડતાળ પર જવાનો સ્કૂલવર્ધી એસોસિએશને નિર્ણય કર્યો છે. ટ્રાફિક પોલીસ અને RTO વિભાગની કેટલીક કાર્યવાહીના વિરોધમાં આ નિર્ણય લેવાયો છે. જોકે, વાલીગણે સ્કૂલ વર્ધી એસોસિએશનના હડતાળના નિર્ણયને વખોડી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે, સ્કૂલ વાહન ચાલકોના કેટલાક પડતર મુદ્દાને લઇને આજે (રવિવાર) એસોસિએશનની એક બેઠક હતી. બેઠકમાં સ્કૂલ રીક્ષા અને વેનમાં પાસિંગની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ કરાઇ હતી.
અત્યારે જ્યારે અમદાવાદમાં 15 હજાર અને રાજ્યમાં 50 હજાર જેટલા સ્કૂલ વાહનો છે, તેવામાં અમદાવાદમાં માત્ર 800 જેટલા વાહનોને જ હજુ પરમિટ મળી છે. આવામાં 18 તારીખથી RTO ઝુંબેશ ચલાવવાનું છે, તે પહેલાં જ સ્કૂલવર્ધી એસોસિએશને નિર્ણય લીધો છે કે, 18 તારીખથી તેઓ સ્કૂલ વાહન નહીં ચલાવે.