અમદાવાદ: રાજકોટ અગ્નિ કાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ મિલકતો સીલ કરવામાં આવી છે. જેમાં 150 જેટલી પ્રિ સ્કૂલનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે શાળાઓ શરૂ થતાં પ્રિ સ્કૂલ સંચાલકો પણ મેદાને આવ્યા છે. હાલમાં રાજકોટ અને સુરતમાં પ્રી સ્કૂલ શાળાઓના સીલ ખોલી દેવાયા છે તો અમદાવાદમાં સીલ ખોલવાના નિયમ અલગ કેમ? તેવા સવાલ સાથે પ્રિ સ્કૂલ સંચાલકોએ ઉઠાવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ પ્રિ સ્કૂલ એસોસિએશનના અગ્રણી સાગરભાઈ નાયકે જણાવ્યું કે, અધિકારીઓ પાસે પૂરતી માહિતી ન હોવાથી નિયમ વિરુદ્ધ સીલ મરાયા છે. દરેક પ્રિ સ્કૂલમાં 2021ના પરિપત્ર મુજબના ફાયરના સાધનો ઉપલબ્ધ છે. GDCRના નિયમ મુજબ રેસિડેન્શિયલ વિસ્તારમાં મંજૂરી સાથે પ્રિ સ્કૂલ ચલાવી શકાય છે.રાજકોટ અને સુરતમાં પ્રી સ્કૂલ શાળાઓના સીલ ખોલી દેવાયા છે તો અમદાવાદમાં પણ સીલ ખોલવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. જેથી અમદાવાદ કલેકટર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી છે અને સીલ કરાયેલ શાળાઓને શરૂ કરવા દેવા માંગ કરી છે.
પ્રિ સ્કૂલ સીલ થતાં અમદાવાદમાં 1 લાખ બાળકોનું શિક્ષણ અટવાયું છે ત્યારે પ્રિ સ્કૂલ ખોલવા માંગ કરી છે. અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકો મેદાને પડયા છે. થોડા સમય પહેલા અમદાવાદની 150થી વધુ પ્રી પ્રાયમરી શાળાઓ સીલ કરાઈ છે. તેવી જ રીતે રાજકોટ અને સુરતમાં પણ પ્રિ સ્કૂલ સીલ કરવામાં આવી હતી. પરંતુ રજૂઆતો બાદ ત્યાં સ્કૂલોમાં સીલ ખોલી દેવામાં આવ્યા છે તો અમદાવાદ માટે અલગ નિયમ કેમ? એવા છે તેવા સવાલો સાથે પ્રિ સ્કૂલના સંચાલકો અમદાવાદ કલેકટર કચેરીએ રજૂઆત માટે પહોચ્યા હતા.
મહત્વનું છે કે પ્રિ સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી છે કે મોટા ભાગે પ્રિ સ્કૂલ મહિલાઓ ચલાવી રહી છે. તેઓનો પરિવાર તેના પર નભે છે. સીલ મારતા અમદાવાદના એક લાખથી વધુ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે જેથી ઝડપથી સીલ ખોલવા રજૂઆત કરી છે.


