અમદાવાદ : રાજકોટના ગોજારા અગ્નિકાંડ બાદ બાળકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર વધુ સતર્ક થઈ. શાળાએ બાળકોને લઈને જતાં સ્કૂલ વાન એસોસિએશન માટે નિયમો કડક બનાવ્યા. કેટલાક નિયમો તો વાન સંચાલકોએ માની લીધા. પરંતુ પરમિટ, સરપ્રાઈઝ ચેકિંગ અને ભાડા મીટરને લઈને ઉભો થયો ગજગ્રાહ અને તેનું જ પરિણામ છે કે, વાલીઓને વરસતા વરસાદ વચ્ચે કામ-ધંધે જવાનો સમય બાજુએ રાખીને તો ક્યાંક ગમે તેવી સ્થિતિમાં પણ બાળકોને લઈને શાળાએ દોડવું પડી રહ્યું છે.
સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો આજથી હડતાળ પર ઉતરતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. પ્રશાસન અને સ્કુલવાનચાલકોની લડાઈમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાયા છે. અચોક્કસ મુદતની હડતાળથી ખાસકરીને નોકરીયાત વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્કૂલ વાન એસોસિયન દ્વારા હડતાળના એલાનમાં રાજ્યભરના વધુ વાનચાલકો જોડાયા છે.
સ્કુલવાન ચાલકોની હડતાળને લઈને વાલીઓએ પણ પ્રશાસનને નરમ વલણ અપનાવવા રજૂઆત કરી છે. રોષે ભરાયેલા વાલીઓનું કહેવું છે કે વાન ના ભાડામાં રૂ 200 નો વધારો કરાયો હોવા છતાં છતાં વેન ચાલકો પોતાની મનમાની કરતા હડતાળમાં જોડાયા છે. અચોક્સ મુદતની હડતાળ પર ઉતરેલ સ્કુલવાન અને રીક્ષા ચાલકોની માંગ શું સરકાર પૂર્ણ કરશે? સરકાર અને સ્કુલવાનના સંઘર્ષ વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓ પીસાયા છે.
આ તરફ સરકાર નિયમોમાં કોઈ બાંધછોડ માટે તૈયાર નથી. છતાં જે વિરોધ વધ્યો છે, તે જોતાં સ્કૂલ વાન માલિકો અને શાળાઓ વચ્ચે ચર્ચા કરી ઉકેલ લાવવાના પ્રયાસ કરાશે. જો કે, શિક્ષણપ્રધાન એવું પણ કહી રહ્યા છે કે આ તો RTOનો મામલો છે.તો બીજી તરફ સ્કૂલવાન એસોસિએશન પણ જાહેરાત કરી છે કે બીજા દિવસે પણ હડતાલ ચાલુ રહેશે.
બંને પક્ષો અડગ છે. નિયમો જરૂરી જ છે, પરંતુ સવાલ એ પણ થાય કે, વેકેશન પહેલા જ નિયમો લાવીને વાન ચાલકોને સમય આપી દીધો હોય તો આ છેલ્લી ઘડીની માથાકૂટ ન થઈ હોત. હવે જોવું એ રહ્યું કે, સ્કૂલ વાન ચાલકો અને સરકાર વચ્ચેની ખેંચતાણમાં ક્યાં સુધી વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાન થવું પડે છે.