અમદાવાદ: અમદાવાદમાં રથયાત્રા પહેલા આજે જગન્નાથ ભગવાનની જળયાત્રા નિકળી. જળયાત્રા પુરી કરી મંદિરે પરત ફર્યા બાદ ભગવાનનો જળાભિષેક કરાયો હતો. પવિત્ર જળથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજીની જળાભિષેકની વિધિ કરવામાં આવી હતી. જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુનો જળાભિષેક કરાતો હોવાથી આ વિધિને જ્યેષ્ઠાભિષેક પણ કહેવામાં આવે છે.
આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનની જળયાત્રા યોજાઈ હતી. મિની રથયાત્રા કહેવાતી જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતેગાજતે નીકળી હતી. શણગારેલા હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સાબરમતી નદી સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ 108 કળશમાં નદીનું જળ લાવી જળયાત્રા ફરી નિજ મંદિરે પહોંચી હતી. આ જળથી ભગવાનનો મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી. મંદિર જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
ભગવાન જગન્નાથે ગજવેશ ધારણ કર્યો છે, દર્શન થતાની સાથે જ મંદિર ‘જય રણછોડ માખણચોર’નાં નાદથી ગુંજી ઊઠ્યું છે. બાદમાં મહાઆરતી ઉતારવામાં આવી હતી.આ મહોત્સવ દરમિયાન અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદેવાચાર્યજી મહારાજ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈનસહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યાં હતા.