અમદાવાદ : અમદાવાદના વેજલપુરમાં લગ્નના માત્ર સવા વર્ષના સમયગાળામાં પતિ સાથે મનમેળ ન થતા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી. વેજલપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલ યુવતી અને બે યુવકો હત્યાના આરોપીઓ છે.પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના વેજલપુરમાં બુટ ભવાની મંદિર સામે ન્યુ વ્રજ સોસાયટીમાં અનિલ રાઠવા નામના યુવકની 23 જૂનના રોજ રાત્રે 2:30 વાગ્યા આસપાસ ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી. જે મામલે અનિલ રાઠવાની પત્ની સ્નેહલે પોલીસને જાણ કરી હતી કે રાતના 2 વાગે આસપાસ બે અજાણ્યા બુકાનીધારી ઈસમો તેઓના ઘરમાં પ્રવેશ્યા અને તેને ચૂપચાપ બેસી રહેવાનું કહ્યું હતું. તે સમયે પતિ અનિલ જાગી જતા એક શખ્સે અનિલને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી અને અન્યએ હાથ પગ પકડી રાખી હત્યા કરી હતી. જે બાદ બંને ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસને શરૂઆતથી જ સ્નેહલ રાઠવા પર શંકા હતી. પકડાઈ જવાના ડરથી પોતાનો ફોન તોડી નાખ્યો હતો, પરંતુ પોલીસે કોલ ડીટેલ્સ કઢાવતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.
સ્નેહલ રાઠવાની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે વર્ષ 2023માં માર્ચ મહિનામાં તેણે અનિલ રાઠવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે લગ્ન બાદથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતાં હતો. આ સમયગાળા દરમિયાન તેના સ્કૂલના મિત્ર વિશાલ પઢિયાર સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને પ્રેમ સંબંધ બંધાયો. જે બાદ સ્નેહલે વિશાલને ફોન કરી તેની સાથે લગ્ન કરવાનું અને પતિને રસ્તામાંથી હટાવી દેવાનું જણાવ્યું હતું.
પરિણામે આરોપી વિશાલ તેમજ તેનો મિત્ર જીગ્નેશ રાજપૂત 22મી જૂનના રોજ રાત્રે વડોદરાથી મોટર સાયકલ લઈને અમદાવાદ આવ્યા હતા. રાતના 2:00 વાગે આસપાસ તેઓ વેજલપુર બુટ ભવાની મંદિર પાસે પહોંચ્યા હતા. પતિ સુઈ ગયા બાદ બંનેને ઘરમાં બોલાવ્યા હતા. વિશાલે દુપટ્ટાથી અનિલ રાઠવાનું ગળું દબાવ્યું અને જીગ્નેશે તેના હાથ પગ પકડી રાખ્યા હતા. હત્યા કર્યા બાદ બંને આરોપીઓ વડોદરા ફરાર થઈ ગયા હતા.હત્યા કર્યા બાદ વિશાલ અને જીગ્નેશ વડોદરા ફરાર થઇ ગયા હતા. ત્યારબાદ અનિલની પત્ની સ્નેહલએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી કે તેના ઘરમાં કોઈ બે અજાણ્યા લોકો પ્રવેશીને લૂંટના ઇરાદે તેને અને તેના પતિને કોઈ મારીને ફરાર થઇ ગયા છે.
આ મામલે મૃતકના પિતા પ્રેમાભાઈ રાઠવાની ફરિયાદ લઈ ગુનામાં સામેલ મૃતકની પત્ની સહિતના ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતકની પત્ની અને આરોપી વિશાલ સ્કૂલ સમયમાં ધોરણ 8 સુધી સંપર્કમાં હતા અને બાદમાં સ્નેહલને અનિલ રાઠવા સાથે પ્રેમ થતા તેણે પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાદ છેલ્લા 2-3 વર્ષથી વિશાલ સાથે સંપર્કમાં હતી અને મળવા પણ જતી હતી. લગ્ન બાદ પતિ સાથે મનમેળ ન થતાં આ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. અગાઉ તેણે ઊંઘની ગોળીઓ ખવડાવી પતિની હત્યા કરવાનો વિચાર કર્યો હતો, જોકે બાદમાં આ રીતે હત્યાને અંજામ અપાયો છે. આ કેસમાં અંતે વેજલપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


