અમદાવાદ : ગઈકાલે રાત્રે શહેરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડ્યો હતો. ફ્લેટમાં મકાનોમાં ફસાયેલા 16 જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે 16 લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આશરે 35 થી 40 વર્ષો જૂના ફ્લેટ હતા અને અચાનક જ વરસાદ પડ્યો ત્યારબાદ સીડી તૂટી પડતા લોકો ફસાયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ વરસાદ ચાલુ હતો ત્યારે પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા નજીક બાદશાહ ડેરીની સામે આવેલા બે માળના વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ અચાનક જ તૂટ્યો હતો. જોરદાર અવાજ આવતાની સાથે જ સ્થાનિક નાગરિકો બહાર નીકળ્યા હતા. જ્યારે તેઓએ જોયું તો સીડીનો ભાગ તૂટી ગયો હતો. જેથી તેઓને નીચે ઉતરવા રસ્તો નહોતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી હતી.
તો આ તરફ દુર્ઘટનાને લઇ ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા સતત બે કલાક સુધી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને ફ્લેટમાં 10થી વધુ મકાનોમાં ફસાયેલા નાના બાળકોથી લઇ અબાલ વૃદ્ધ સહિત 16 રહેવાસીઓને સીડી સહિતના રેસ્ક્યુ સાધનોની મદદથી હેમખેમ બહાર કાઢ્યા હતાં. ફાયર બ્રિગેડની ટીમે હાઇડ્રોલિક સીડી વડે નીચે ઉતાર્યા હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહ અને પાલડી વોર્ડના કોર્પોરેટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.