અમદાવાદ : હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી…. આગામી ૭મી જુલાઈના દિવસે અમદાવાદ શહેરના માર્ગો પર ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિકળવાની છે. આ રથયાત્રામાં 18 ગજરાજનો સમાવેશ થશે, 101 ટ્રક માં વિવિધ સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે.
રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ સવારે 4.30 વાગ્યે ભગવાનને ખીચડીનો વિશિષ્ટ મહા ભોગ ધરાવવામાં આવશે. સવારે 5 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામા આવશે. આંખેથી પાટા ખોલ્યા બાદ સવારે 5.45 વાગ્યે ભગવાન રથમાં આરૂઢ થશે. 7 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહિંદ વિધી કરીને રથયાત્રાનો આરંભ કરાવશે.
ભવ્ય રથયાત્રામાં કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ, ત્રણ બેન્ડબાજા સાથે રહેશે. 2000 જેટલા સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જેન, જગન્નાથ પુરી તથા સૌરાષ્ટ્રમાંથી રથયાત્રામાં આવશે. 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ ,500 કિલો કેરી, 400 કિલો કાકડી ,દાડમ પ્રસાદી ભક્તોને વહેંચવામાં આવશે.
રથયાત્રામાં ટ્રક, ભજનમંડળીઓ, અખાડા-કરતબબાજો અને રથ જોડાતા હોય છે. ત્યારે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અખાડાઓ-કરતબબાજો. રથાયાત્રામાં અનેક અખાડાવાળા અને કરતબબાજો જોડાતા હોય છે. ત્યારે અખાડાઓ અને કરતબબાજો અલગ અલગ સ્ટંટ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે.
આ અગાઉ પાંચ જુલાઈના રોજ નેત્રોત્સવ પુજન વિધી, ધ્વજારોહણ, મહાઆરતી કરવામાં આવશે. 6 જુલાઈના ભગવાનને સોનાવેશના શણગાર કરવામાં આવશે. જગન્નાથ મંદિરના પ્રાંગણમા રથ પ્રતિષ્ઠા કરવામાં આવશે.સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ પૂજા કરશે.