અમદાવાદ : અષાઢી બીજે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથના મંદિરેથી જગતના નાથ એવા ખુદ ભગવાન જગન્નાથ શણગાર સાથે વાજતે-ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. આ દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન જગદીશની સાથે તેમના બહેન સુભદ્રાજી અને તેમના ભાઈ બલભદ્ર સાથે નીકળેલી 147મી રથયાત્રામાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં આસ્થા, શ્રદ્ધા, ઉમંગ, ઉલ્લાસ અને કોમી એકતાના માહોલમાં શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. નગરયાત્રા કરી ભગવાનના ત્રણેય રથ રાત્રે 9.10 વાગ્યે નિજમંદિરમાં પહોંચ્યા હતા. ભગવાનના રથ મંદિરમાં પહોંચતા અમી છાંટણા થયા હતા. તમને જણાવી દઈએ કે સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા. અને રથયાત્રાના આયોજકો સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.
રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચ્યા છે. ત્રણેય રથ નિજમંદિર પહોંચ્યા બાદ પ્રાંગણમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવે છે અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી ઉતારી. ત્યારબાદ ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. આવતીકાલે (સોમવાર) વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાન જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે.
રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ પર આખી રાત મંદિરની બહાર રાતવાસો કરતો હોય છે. આ પાછળ એક ચોક્કસ કારણ છે. ભગવાનના પત્ની રૂઠ્યાં હોવાથી ભગવાન જગન્નાથને મંદિરની બહાર તેમના ભાઈ-બહેનની સાથે રાતવાસો કરવો પડે છે. બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ જ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.
નિજ મંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનુ કામ સૌથી પહેલા કરવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન નગરચર્યાએ નીકળે એટલે તેમને લોકોની મીઠી નજર લાગતી હોય છે. તેથી તેમનો મંદિર રથ પહોંચે એટલે નજર ઉતારવામાં આવે છે.