અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં અખાદ્ય વસ્તુઓ નીકળવાનો સિલસિલો જારી છે. વસ્ત્રાલના સિટી કોર્નરમાં રેસ્ટોરાની દાળફ્રાયમાં જીવાત નીકળી છે. આ અંગે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને પૂછવામાં આવતા તેણે ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હતો. ગ્રાહકે આ મામલે હોટલના મેનેજરને ફરિયાદ કરી તો તેઓએ કહ્યું કે, વરસાદની સિઝન હોવાથી કદાચ આવી ગઈ હશે. આ મામલે મ્યુનિ. ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં 40 વ્યક્તિ માટેનો જમણવાર યોજાયો હતો. ગ્રાહક અને તેઓના મહેમાનો આ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. રેસ્ટોરન્ટમાં તમામ લોકોને જમવાનું આપવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ શાક રોટલી પીરસવામાં આવ્યા હતા. જે ખાધા બાદ દાલફ્રાય મગાવી હતી. જેમાં એક વ્યક્તિની દાલફ્રાયમાંથી મચ્છર જેવું નીકળ્યું હતું.
View this post on Instagram
આ મામલે હોટલના મેનેજરને ફરિયાદ કરી હતી. મેનેજર દ્વારા તેઓને કહ્યું હતું કે, અત્યારે વરસાદની સિઝન છે એટલે ક્યાંકથી મચ્છર આવી ગયું હશે. આવો જવાબ આપવામાં આવ્યો હતો. તમામ લોકો અડધું જમવાનું મૂકી અને ત્યાંથી નીકળી ગયા હતા. આ મામલે તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ઓનલાઈન 155 303 નંબર ઉપર ફરિયાદ નોંધાવી દીધી છે. જેથી ફૂડ વિભાગની ટીમ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં રખિયાલમાં આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં બેબી શાવર પ્રસંગમાં જમણવારમાં દાલફ્રાયમાંથી જીવાત નીકળી હતી, જે મામલે ફરિયાદ કરાતા ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
જો કે રેસ્ટોરાની વાત જવા દઈએ પણ આ ઋતુમાં બહાર જમવા નીકળતા લોકોનો પણ તેટલો જ વાંક છે. આપણે ત્યાં કહ્યું છે કે ચોમાસામાં બહારનું જમવું નહીં, છતાં પણ જો લોકો બહાર જમવા નીકળતા હોય તો પછી વાંક તેમનો જ છે. ચોમાસાની સીઝનમાં ઘરમાં ભરેલા ઘઉંમાં ધનેરા પડી જતી હોય અને બીજા ધાન્યોમાં પણ જીવડાં પડતાં હોય તો બહારના ભોજનમાં તો શું-શું ન હોય.
આ ભોજન કોણે રાંધ્યું હોય, કેવા વાતાવરણમાં રંધાયું હોય અને કેટલી ગંદી જગ્યાએ તે રંધાયુ હોય તે જાણતા હોવા છતાં પણ જો લોકોએ બહારનો સ્વાદ લેવો હોય અને પછી જીવડાં પડી ગયાની ફરિયાદ કરવી હોય તો ક્યાં મેળ પડે. કેટલીય રેસ્ટોરામાં જમવા જાવ અને તેનું રસોડું જુઓ તો તમને જમવાની પણ ઇચ્છા ન થાય. છતાં લોકો ટેસ્ટ વગર રહી જતાં હોય તો બધી જ જવાબદારી કંઈ રેસ્ટોરાવાળાની નથી. તેણે તો જથ્થાબંધ બનાવવાનું જ હોય.


