અમદાવાદ : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. મણિનગરની પુરોહિત રેસ્ટોરન્ટનાં ફૂડમાંથી ઇયળ નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. AMCએ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદ અનુસાર, અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં કાંકરિયા પાસે આવેલ પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ખોખરાનાં કોર્પોરેટર ચેતન પરમારનાં જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ ભાવેશ પટેલે ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું. જો કે, પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ પાર્સલનાં ભોજનમાંથી ઇયળ નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે તરત જ AMC માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી મુજબ, આ અંગે જ્યારે પુરોહિત હોટેલનાં સંચાલકને જાણ કરવામાં આવી તો તેણે ચોમાસાનું વાતાવરણ હોવાનો અધ્ધરતાલ જવાબ આપ્યો હતો.
ફરિયાદીનાં જણાવ્યા મુજબ, પુરોહિત રેસ્ટોરન્ટના સંચાલકે બીજું ટિફિન મોકલી આપવાની વાત કરી હાથ ઊંચા કરી દીધા હતા. જો કે આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે મ્યુ કોર્પોરેશનમાં (AMC) ઓનલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા હોટલ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે અન્ય કોઈ લોકો આવો કોઈ ફરી એકવાર ભોગ ન બને. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને મળતા ત્યાં ચેકિંગ હાથ ધરી પુરોહિત રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.


