અમદાવાદ : કોલકાતાની મહિલા ડોક્ટરની હત્યાની ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડી રહ્યાં છે. સમગ્ર દેશના ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. ન્યાયની માંગણી સાથે ડોક્ટરો આજે હડતાળમાં જોડાયા છે. ડોક્ટરોની હડતાળના પગલે ઓપીડી બંધ રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. સરકારી તબીબો સાથે હવે ખાનગી તબીબો પણ જોડાશે. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના વાઈસ પ્રેસિડન્ટ ડોક્ટર મિતેશ શાહે હડતાળ પૂરેપૂરું સમર્થન આપવાની વાત કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આવતીકાલે એટલે શનિવારે સવારે છ વાગ્યાથી આગામી 24 કલાક સુધી ઇમર્જન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે હોમિયોપેથિક એસોસિએશન, ગામા સહિત વડોદરાની તમામ હોસ્પિટલોનું સમર્થન કરશે. આવતી કાલથી સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે સંપૂર્ણ સેવાઓથી દૂર રહેશે. જેના કારણે રવિવાર અને સોમવારે રક્ષાબંધનનો તહેવાર હોવાથી કાલથી ત્રણ દિવસ સુધી ડોકટરો મળશે નથી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉકટરોએ રેલી યોજી આજથી ગુજરાતની હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી કોલકાતાના ડોકટરો પર થયેલા હુમલા મામલે સંતોષકારક જવાબ ના મળે ત્યાં સુધી સેવા બંધ રાખવામાં આવશે. માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે. જેમાં 1500 પૈકી 750 રેસિડેન્ટ ડોક્ટર ઇમર્જન્સીમાં સેવા આપશે. તેમજ ગુજરાતમાં અનિશ્ચિત સમય સુધી ઇન્ટર જુનિયર ડોક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઓપીડી સારવાર બંધ રાખશે.
જામનગર સિવિલ હોસ્પિટલમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉકટરોએ સુત્રોચાર સાથે ધરણાં કરી કોલેજ કંમ્પાઉન્ડમાં રેલી યોજી હતી. રાજકોટ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. ડોક્ટરો OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા હતા.વડોદરા સયાજી હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ્પસમાં રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને હત્યા કરનારાઓને પશ્ચિમ બંગાળ સરકાર સજા કરે તેની માંગણી કરી રહ્યા હતા. સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે.
અત્યાર સુધીમાં સરકારી તબીબો હડતાલ કરીને વિરોધ પ્રદર્શન કરતા હતા. પરંતુ હવે તેમની સાથે ખાનગી તબીબો પણ જોડાશે. આ વિરોધ પ્રદર્શનને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે. જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના ઓડિટોરિયમમાં તમામ 700 તબીબો એકત્રિત થઈને રેલી યોજશે. આ ઉપરાંત સાંજે 5:30 કલાકે કોલકાતાની ટ્રેઇન મહિલા તબીબની આત્માને શાંતિ અને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ કરીને પ્રાર્થના કરશે.
કેન્દ્ર સરકારે શુક્રવારે આદેશ જારી કર્યો છે કે જો કોઈ ડૉક્ટર સાથે કોઈ પણ પ્રકારની હિંસા થશે તો તેના માટે મેડિકલ કોલેજ અથવા હોસ્પિટલના વડા જવાબદાર રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્વાસ્થ્ય કર્મચારીઓ સામે કોઈપણ પ્રકારની હિંસાના કિસ્સામાં ઘટનાના 6 કલાકની અંદર એફઆઈઆર દાખલ કરવામાં આવે. જો આમ ન થાય તો મેડિકલ કોલેજના વડા સામે પણ કાર્યવાહી થઈ શકે છે.


