અમદાવાદ : ગણેશ ઉત્સવની ઉજવણી હાલ થઇ રહી છે. ગણેશ ભક્તો ભગવાનની ભક્તિમાં લીન બન્યા છે.ત્યારે ઘાટલોડીયામાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં વિઘ્નહર્તા વિનાયકની આરાધના કરવા જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રાત:વંદના અને આરતીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઉત્સવના મહત્વ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી. વિવિધ સાત સ્ટેજ પર પ્રોમન્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ભજન મંડળી, સોલો શાસ્ત્રીય નૃત્ય, સોલો ડાન્સ, મરાઠી સમૂહ નૃત્ય, ગણપતિ સ્તુતિ અભિનય સાથે રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના 40 વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષામાં પોતાની કલા રજૂ કરીને આનંદના ભાગીદાર બન્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધાં હતાં.
આ અગાઉ ગત સપ્તાહે ગણેશ ચતુર્થીના પ્રારંભ નિમિત્તે શાળામાં ગણેશ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 90 વિદ્યાર્થીઓ ભાગ લઈને માટીમાંથી ગણેશની આબેહૂબ મૂર્તિઓ બનાવી હતી. આ તમામ મૂર્તિઓને નાની નાની વસ્તુઓથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતમાં વર્ગ વાર વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શિક્ષક મિત્રોએ બાળકોને માર્ગદર્શન આપી મહેનત કરાવી હતી. તમામ વિદ્યાર્થીઓ મૂર્તિઓનું પ્રદર્શન નિહાળી ભારોભાર કરી હતી.
શાળાના વિદ્યાર્થીઓએ માટીના ગણેશ બનાવી બીજા લોકોમાં એક પ્રેરણાનું કામ કર્યું છે. જો તમામ લોકો આવો અભિગમ દાખવે તો પર્યાવરણને મોટો ફાયદો થાય. વિદ્યાર્થીઓના આ નવા અભિગમની તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. ગણપતિ મહોત્સવ મૂળ તો મહારાષ્ટ્રનો તહેવાર છે. પરંતુ આજે એવું કોઈ રાજ્ય કે શહેર નહીં હોય જ્યાં ગણપતિ મહોત્સવ થતો નહીં હોય. દેશભરમાં ગણપતિ મહોત્સવ રંગે ચંગે ઉજવાય છે.