અમદાવાદ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામતવિરોધી આપેલા નિવેદનને લઈ આજે અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યાં હતાં, જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધપ્રદર્શનમાં જોડાયા છે. આ વિરોધપ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણાં યોજ્યાં હતાં. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો છે.
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા દ્વારા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામતને લઈને કરવામાં આવેલા નિવેદનને લઈ આજે અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યાં હતાં.આ ધરણાં કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન પ્રથમ વખત કોઈ વિરોધ પ્રદર્શનમાં પ્રત્યક્ષ રીતે જોડાયા હતા. જો કે આ ધરણામાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના ભાજપના જ દલિત સાંસદ દિનેશ મકવાણા ગેરહાજર રહ્યા હતા.
શહેર ભાજપ દ્વારા આજે અમદાવાદના સુભાષબ્રિજ ખાતે મૌન રેલી યોજવામાં આવી હતી. સાથે જ ધરણાં કાર્યક્રમના ભાગરૂપે આરટીઓ સર્કલ ખાતે રાહુલ ગાંધીના ફોટા સાથે કોંગ્રેસનો અનામત વિરોધી ચહેરો સૂત્રો લખેલાં બેનરો પણ લગાવવામાં આવ્યાં હતાં.રેલીમાં હાજર રહેલા ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ પરમારે કહ્યું હતું કે જેને દેશની સંસ્કૃતિની ખબર નથી એવી વ્યક્તિ સાંસદ બની ગયા છે.
રાહુલ ગાંધીએ વિદેશ જઈ દેશની સંસ્કૃતિ એવાં SC, ST અને OBC જ્ઞાતિનો વિરોધ કર્યો છે. કોંગ્રેસનો ઇતિહાસ હમેશાં દલિતો અને બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ રહ્યો છે.રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધની રણનીતિ ઘડવામાં આવી છે. ભાજપે આ નિવેદન મુદ્દે રેલીઓ, ધરણાં અને વિરોધ પ્રદર્શનો યોજવાનું આયોજન પણ ઘડ્યું હોવાનું એક ભાજપના જ નેતાએ જણાવ્યું હતું.


