અમદાવાદ : ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલા ટિકિટ બુકિંગ મુસાફરીના 120 દિવસ પહેલા શરૂ થતું હતું, હવે તેને ઘટાડીને 60 દિવસ કરી દેવામાં આવ્યું છે. નવો નિયમ 1 નવેમ્બર 2024થી અમલમાં આવશે. જોકે, એડવાન્સ ટ્રેન ટિકિટ બુકિંગ માટેના નવા નિયમોની પહેલાથી બુક થયેલી ટિકિટ પર કોઈ અસર નહીં થાય. હાલમાં, ટિકિટ બુકિંગ IRCTC વેબસાઇટ, એપ્લિકેશન અને રેલવે બુકિંગ કાઉન્ટર્સ દ્વારા કરવામાં આવે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રેલવે બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગનો સમય ઘટાડી દીધો છે. હવે ટિકિટ બુકિંગનો સમયગાળો 60 દિવસનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ નિયમનો અમલ પહેલી નવેમ્બર-2024થી અમલમાં આવશે. આ 60 દિવસની અંદર યાત્રાના દિવસોનો પણ સમાવેશ થાય છે. હવેથી રેલવે રિઝર્વેશન ટિકિટનું એડવાન્સ બુકિંગ માત્ર 60 દિવસ પહેલા જ થઈ શકશે. નવી સિસ્ટમ આવતા મહિનાથી અમલમાં આવશે.જેમાં લાંબી વેઈટિંગની સમસ્યા દુર થશે,IRCTC દ્વારા દરરોજ 12.38 લાખ ટિકિટ બુક થાય છે.
ભારતીય રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમુક દિવસની એક્સપ્રેસ ટ્રેનો – જેમ કે તાજ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરે – જ્યાં એડવાન્સ રિઝર્વેશન માટેની ટૂંકી સમય મર્યાદા હાલમાં લાગુ છે તેવા કિસ્સામાં નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત વિદેશી પર્યટકો માટે રાખવામાં આવેલી 365 દિવસની મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
રેલ્વના જણાવ્યા મુજબ, આ નવો નિયમ 31 ઓક્ટોબર-2024 સુધી બુક કરાયેલી ટિકિટોને લાગુ પડશે નહીં, પરંતુ 60 દિવસના એડવાન્સ રિઝર્વેશનના સમયગાળાથી ઉપર કરાયેલી ટિકિટ બુકિંગ રદ કરવાની મંજૂરી આપવામાં આવશે.