અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં થલતેજના એક્રોપોલિસ મોલ પાસે અનેક વાહનો અથડાયા હોવાનું સામે આવ્યું. જો કે, અકસ્માતની ઘટનામાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી હતી અને કયા કારણોસર અકસ્માતની ઘટના સર્જાય તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શુક્રવારે રાત્રે એસજી હાઈવે પર થલતેજ વિસ્તારમાં આવેલ એક્રોપોલીસ મોલ પાસે બ્રિજ નીચે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ ડંપરે અન્ય બે કારને અડફેટે લેતા બંને કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.પરંતુ અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. જો કે, એક સાથે ઘણાં વાહનોનો અકસ્માત સર્જાતા હાઈવે પર વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાની સાથે સ્થળ પર આવી પહોંચીને સ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા ડ્રાઈવરોને સલામત અંતર જાળવીને વાહન ચલાવા સહિતની સૂચના આપી હતી. જ્યારે કયા કારણોસર અકસ્માતની ઘટના સર્જાય તેને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે.


