અમદાવાદ : અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. નવા વર્ષથી એટલે કે 2 જાન્યુઆરી 2025થી સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવો હોય દોઢ વર્ષ માટે એટલે કે 30 જૂન 2026 સુધી સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહનોનો ધસારો વધશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, સારંગપુર ઓવરબ્રિજ આગામી 2 જાન્યુઆરીથી લઈને, 30મી જૂન 2026 સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ બ્રિજ બંધ રહેવાના કારણ ઓઢવ, રખિલાય, બાપુરનગર, ગોમતીપુર, બાપુનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઈ છે. આ જાહેરનામાના પગલે, અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ, બીઆરટીએસ બસને પણ વૈકલ્પિક માર્ગે દોડાવવી પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રેલવે સ્ટેશને રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. રેલવે સ્ટેશનની નવી ડિઝાઈન અનુસાર, સારંગપુર ઓવરબ્રિજ પરથી હવે સીધા જ અમદાવાદ રેલવે સ્ટેશને જઈ શકાશે. અત્યાર સુધી સારંગપુર આવીને પાણીની ટાકીએ થઈને રેલવે સ્ટેશને જવુ પડતું હતું.
નવા વૈકલ્પિક માર્ગઃ
(1) ગીતા મંદિર, ખાડિયા, ગાંધીરોડ અને કોટવિસ્તાર સહિત અમદાવાદ શહેરમાંથી આવતા-જતા વાહનચાલકોએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે થઈને, વાણિજ્યભવન થઈન અનુપમ-અંબિકા ઓવરબ્રિજ પર આવવા જવાનું રહેશે.
(2) રખિયાલ ઓઢવ તરફથી આવતા -જતા વાહનચાલકોએ રખિયાલ ચાર રસ્તાથી ન્યુકોટન ચાર રસ્તા થઈને અનુપમ-અંબિકા ઓવરબ્રિજ આવવા જવાનું રહેશે.
(3) રખિયાલ ઓઢવ તરફથી આવતા-જતા વાહન ચાલકોને કાલુપુર બ્રિજ-કાલુપુર સર્કલ જવા આવવા માટે, કામદાર મેદાન, ચારતોડા કબ્રસ્તાન થઈને સરસપુર ગુરુદ્વારા થઈને કાલુપુર ઓવરબ્રિજ પર આવ જા કરી શકાશે.


