અમદાવાદ : સાબરમતી નદી ઉપર આવેલા સરદાર,ગાંધી તથા દધિચી બ્રિજના બ્યુટીફિકેશન પાછળ રુપિયા 100 કરોડનો ખર્ચ કરવા મંજૂરી માંગતી દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મુકવામાં આવી છે.આ ત્રણ બ્રિજ ઉપર કાયમી ધોરણે સ્ટીલ સ્ટ્રકચરમાં થીમબેઝ રેલીંગ,ડેકોરેટીવ લાઈટીંગ કરાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવેલી દરખાસ્ત મુજબ જમાલપુર- પાલડી વચ્ચેના સરદાર બ્રિજ, શાહપુરથી ઈન્કમટેક્સ પાસેના ગાંધી બ્રિજ, વાડજ- દૂધેશ્વરને જોડતાં દધીચી બ્રિજને નવા રંગરૂપથી તૈયાર કરાશે. આ માટે બ્રિજ પર કાયમી ધોરણે લાઈટિંગની સાથે સ્ટીલ સ્ટ્રક્ચરમાં થીમ રેલિંગ, ઓછા વજનના વિવિધ સ્ટ્રક્ચર અને રંગબેરંગી લાઇટિંગ કરાશે. આ દરખાસ્ત ટેન્ડરના ભાવ કરતા 38 ટકા વધારે રકમ સાથે ટેન્ડર આપવાની ભલામણ કરાઇ છે. અધિકારીઓના મતે, દરરોજ એક-એક બ્રિજ પરથી એક લાખ કરતા વધારે લોકોની અવર-જવર છે. બ્યુટીફિકેશન બાદ શહેરની એક આગવી નવી ઓળખ ઉભી થશે.
હાલમાં સામાન્ય લાઇટમાં પણ બ્રિજ નદીમાંથી બહુ જ સુંદર લાગે છે. રિવરફ્રન્ટને કારણે ટુરિસ્ટ મોટી સંખ્યામાં રાત્રે પણ આ વિસ્તારમાં ફરતા હોય છે. આ સ્થિતિમાં તેઓ યોગ્ય ફોટો પણ લઇ શકે તે માટે આ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ સ્થિતિમાં જો તેઓને યોગ્ય રીતે લાઇટિંગ અને સ્ટ્રક્ચરથી તૈયાર કરવામાં આવે તો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે અને બહારથી આવતા લોકો માટે અમદાવાદની અલગ ઓળખ બનશે.
તમને જણાવી દઈ કે હાલમાં 3 બ્રિજ પર કાયમી સ્ટ્રક્ચર અને લાઇટિંગની વ્યવસ્થા તૈયાર કરાશે. તેની સફળતા અને લોકોના પ્રતિભાવ બાદ શહેરના જાણીતા અન્ય બ્રિજો પર પણ આ જ પ્રકારે બ્યુટિફિકેશન કરાશે. માત્ર બ્રિજની સાઈડની રેલિંગ જ નહીં પરંતુ તેની અલગ જ ઓળખ ઉભી થાય તે પ્રકારે બ્રિજ તૈયાર કરાશે. પરંતુ હાલ આ 3 બ્રિજનું બ્યુટીફિકેશન પ્રાયોગિક ધોરણે પૂરું કરાશે.


