અમદાવાદ: કાશ્મીરના પહેલગામમાં એપ્રિલ 22ના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા ત્રણ ગુજરાતીઓ સહિતના 26 નિર્દોષ પર્યટકોની હત્યા કરાયા બાદ ભારતે પાકિસ્તાનના નવ લોકેશન્સ પર હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર હેઠળ મે 07ના રોજ વહેલી સવારે મિસાઈલ સ્ટ્રાઈકથી જૈશ-એ-મહોમ્મદ અને લશ્કર-એ-તોઈબા જેવા આતંકવાદી સંગઠનોના હેડક્વાર્ટર ઉપરાંત અન્ય આતંકી ઠેકાણાંને ભારતીય સૈન્ય દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાનના પંજાબમાં આવેલા બહવાલપુર સ્થિત JeMના હેડક્વાર્ટર અને LeTના મુરિદકેમાં આવેલાં ઠેકાણાંનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતીય વાયુસેનાએ મંગળવારે મધ્યરાત્રિ પછી પાકિસ્તાન અને PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એરસ્ટ્રાઈક કરી. ભારતે માત્ર 33 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને પાર પાડ્યું.આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.
જોકે, ભારતે આ મામલે એવું નિવેદન આપ્યું છે કે તેણે માત્ર આતંકી ઠેકાણાંને જ ટાર્ગેટ બનાવ્યા છે અને પાકિસ્તાની મિલિટરી ફેસિલિટીઝને તેમાંથી બાકાત રાખવામાં આવી છે.પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ પણ ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ભારતીય એરફોર્સ દ્વારા આ અટેક કરાયા છે.
ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના 15 દિવસ પછી કરવામાં આવી હતી અને તેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. આ નામ એ મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા.