અમદાવાદ: શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી સાફ સફાઈ માટે ખાલી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓએ ભારે જહેમત ઉઠાવી સાબરમતી નદીના પટને સ્વચ્છ કરવાના પ્રયાસો કર્યા. ત્યાર બાદ શહેરની સાબરમતીને નર્મદાના નીરથી ફરી એકવાર ભરી દેવામાં આવી. નદી બેય કાંઠે તો થઈ ગઈ. પરંતુ નદી વચ્ચે અને કેટલાક કિનારે જળકુંભી પથરાઈ ગઈ.
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલાં આવતીકાલે 11 જૂને ભગવાનની જળયાત્રા નીકળશે. જ્યાં જગન્નાથ મંદિરના ભક્તો, મહંત, મંત્રી અને સામાજિક આગેવાનો આવશે. જમાલપુર જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના ભૂદરના આરે યાત્રા પહોંચશે. ભગવાનના જળા અભિષેક માટે સાબરમતી નદીમાંથી જળ ભરીને મંદિરે લાવવામાં આવશે, પરંતુ જળયાત્રાના 24 કલાક પહેલાં જ સાબરમતી નદીમાં જ્યાં જળયાત્રા અને નદીનું પૂજન થવાનું છે ત્યાં મોટા પ્રમાણમાં જળકુંભી ઊગી નીકળી છે.
જમાલપુરના બ્રિજ નીચે જ્યાં રિવરફ્રન્ટ પર જળયાત્રાનું સ્ટેજ, ટેન્ટ બનાવી તૈયારીઓ કરી છે એ સાબરમતી પટ પર જળકુંભીની વિશાળ ચાદર પથરાઇ ગઈ છે. નદીના પટમાં અચાનક પથરાઇ ગયેલા વેલના જંગલને હટાવવા પાણીમાં ત્રણ સ્પેશિયલ મશીન, બોટ, JCB મશીન, ટ્રેક્ટર કામે લગાડી દેવામાં આવ્યા છે.જળકુંભીના કારણે આખી નદીમાં ગંદકી જોવા મળી રહી છે. જે સ્થળ પર પૂજન અને જ્યાંથી બોટમાં બેસી સાબરમતી નદીની વચ્ચેથી પાણી લાવવાનું છે એ જ જગ્યા પર જળકુંભી ઊગી નીકળી છે.
સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના દરવાજા રિપેર થયા હોવાથી નદી ખાલી થઈ હતી. ત્યાર બાદ બે દિવસ પહેલાં નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે નદીમાં ઠેર ઠેર જળકુંભી નીકળી છે.