અમદાવાદ : અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ઘટનામાં 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમાં 241 મુસાફરો અને એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે, આ ઉપરાંત વિમાન ક્રેશમાં 4 MBBS વિદ્યાર્થીઓ અને BJ મેડિકલ કોલેજના એક ડોક્ટરનું પણ મોત થયું હતું. હવે UAE માં રહેતા ભારતીય મૂળના ડૉ. શમશીર વાયલીલે ઉદારતા દર્શાવી છે અને એર ઈન્ડિયા ક્રેશમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ અને ડોક્ટરને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તેમણે ઘાયલોને મદદ કરવાની પણ જાહેરાત કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વિમાનમાં સવાર 242 લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિ આ દુર્ઘટનામાં બચી ગયો હતો. જ્યારે પાંચ MBBS વિદ્યાર્થીઓ સહિત 29 અન્ય લોકોનું પણ અકસ્માત સ્થળે જ મોત નીપજ્યું હતું. UAEની રાજધાની અબુ ધાબી તરફથી રાહત સહાયની જાહેરાત કરતા બુર્જિલ હોલ્ડિંગ્સના સ્થાપક અને ચેરમેન અને VPS હેલ્થના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શમશીરે કહ્યું કે અકસ્માત પછીની પરિસ્થિતિ જોઈને તેઓ ચોંકી ગયા છે.ડૉ. શમશીરના રાહત પેકેજમાં ચાર મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો માટે પ્રત્યેકને રૂપિયા 1 કરોડ, ગંભીર રીતે ઘાયલ પાંચ વિદ્યાર્થીઓ માટે પ્રત્યેકને રૂપિયા 20 લાખ અને પોતાના પ્રિયજનો ગુમાવનારા ડૉક્ટરોના પરિવારજનો માટે પ્રત્યેકને રૂપિયા 20 લાખની સહાયનો સમાવેશ થાય છે.
આ સહાય કોલેજ ખાતે જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન સાથે સંકલનમાં આપવામાં આવશે. 2010માં મેંગલુરુ વિમાન દુર્ઘટના પછી, ડૉ. શમશીરે અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડી હતી અને આરોગ્યસંભાળ પ્રદાતા બુર્જિલ હોલ્ડિંગ્સમાં રોજગારની તકો પૂરી પાડી હતી. ડૉ. શમશીર વ્યવસાયે રેડિયોલોજસ્ટ અને વેપારી છે. તેમને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી પ્રવાસી ભારતીય સન્માન પ્રાપ્ત થયેલું છે.