અમદાવાદ : અમદાવાદ પ્લેન ક્રેશમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. 12 જુને અમદાવાદ ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા મળ્યાં છે. ડેટા મળ્યાં બાદ હવે જાણી શકાશે વિમાન તૂટી પડ્યું ત્યારે ત્યાંનો માહોલ કેવો હતો અને કયા કારણને લીધે વિમાન ક્રેશ થયું.અને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની લેબમાં તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. CVR, FDR માંથી મેળવેલા ડેટાની તપાસ ચાલી રહી છે. ગુરુવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 24 જુનના દિવસે ભારતીય વાયુસેના (IAF) વિમાન દ્વારા બ્લેક બોક્સને સુરક્ષિત રીતે દિલ્હી લવાયું હતું ત્યાર બાદ બીજું બ્લેક બોક્સ AAIB ની બીજી ટીમ દ્વારા લાવવામાં આવ્યું અને સાંજે 5:15 વાગ્યે લેબમાં પહોંચ્યું.બન્ને બ્લેક બોક્સ મળ્યાં બાદ પ્રથમ બ્લેક બોક્સના મેમરી મોડ્યુલને સફળતાપૂર્વક એક્સેસ કરવામાં આવ્યું અને ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો હતો. હવે બંને બ્લેક બોક્સમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે જેથી જાણવા મળે કે અકસ્માત કેવી રીતે થયો અને તેના કારણો શું હતા.
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના બ્લેકબોક્સ એટલે કે કૉકપિટ વૉઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR), દુર્ઘટના બાદ મળ્યા હતા. આ ડેટાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે AAIBએ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ એક બહુ-વિષયક ટીમ બનાવી છે, જેમાં ઉડ્ડયન ચિકિત્સા નિષ્ણાત, એર ટ્રાફિક કંટ્રોલ અધિકારી અને અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના પ્રતિનિધિ સામેલ છે.
બ્લેકબોક્સના બે ભાગમાંથી એક 13 જૂને દુર્ઘટનાસ્થળે ઇમારતની છત પરથી અને બીજો 16 જૂને કાટમાળમાંથી મળી આવ્યો હતો. 24 જૂને ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા આ બ્લેક બોક્સ અમદાવાદથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. AAIB અને NTSBની ટીમે તે જ દિવસે સાંજે ડેટા ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી. આ ડેટા દુર્ઘટનાના કારણો જેમ કે ટેકનિકલ ખામી કે અન્ય સમસ્યાઓ શોધવામાં મદદ કરશે.


