અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી અક્ષર પ્રાથમિક શાળામાં આજે 26 જૂન 2025ના રોજ શ્રી જગન્નાથ રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી અક્ષર જોશીના નેતૃત્વમાં નવા વાડજ વિસ્તારમાં બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજ વિસ્તારમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળા દ્વારા આજે તા. 26/6/25 ને ગુરુવારે સવારે 8 થી 11 દરમિયાન ભગવાન જગન્નાથ ભગવાનની બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, શાળા દ્વારા છેલ્લા 16 વર્ષથી સતત આ બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. રથમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભજન-કીર્તન સાથે શાળા પરિસરમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.
શાળાના સંચાલક માનવભાઈ જોશીના જણાવ્યા મુજબ, જગન્નાથપુરીથી આવેલા ભગવાન જગન્નાથ, બલભદ્ર તથા બહેન સુભદ્રાની પ્રતિમાને વધાવી લેવા છેલ્લા 16 વર્ષથી સતત આ બાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જેમાં ભગવાનના શણગારનું જીણામાં ઝીણું ધ્યાન રાખવામાં આવે છે.ભગવાનના પોશાકના કલર કોમ્બિનેશનથી લઈ ઝવેરાતના મેચિંગ માટે ખૂબ જ સજાગતા જાળવવામાં આવે છે.એક નાનકડી હાથલારીનો રથ બનાવી અને એ રથને પણ એવો સુંદર રીતે સજાવવામાં આવે છે કે, ભગવાન જ્યારે આખા વિસ્તારની પરિક્રમા કરે તેમને જરાય તકલીફ ન પડે અને બાળકોને પણ રસ ખેંચવામાં હલકો અને સુવિધાપૂર્ણ રહે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રાના આયોજનમાં પોલીસ પરમિશનથી લઇ રથયાત્રાના રિહર્સલ દરમિયાન બાળકોની સલામતી અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ખૂબ જ સજાગતા શાળા દ્વારા રાખવામાં આવે છે.. સવારે ભગવાનની આરતી કરી નીકળેલી રથયાત્રા ભીમજીપુરા પહોંચે તે પહેલા રસ્તામાં જાત-જાતની વેશભૂષા અને ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ બાળકોએ તૈયાર કરેલા અખાડાના વિવિધ દાવોનું પ્રદર્શન રાખવામાં આવે છે.. રથયાત્રા આગળ વધે તે દરમિયાન શાળા અને વાલી દ્વારા સમૂહમાં તૈયાર કરાયેલ ફણગાયેલા મગ, જાંબુ તથા ચોકલેટની પ્રસાદી રસ્તામાં આવતા વાહનચાલકો, દુકાનદારો અને રહીશોને ખુલ્લા હાથે વિતરણ કરવામાં આવે છે.લગભગ 75 કિલો મગ, 10 કિલો જાંબુ અને પાંચ કિલો ચોકલેટની પ્રસાદી સમગ્ર વિસ્તાર પ્રેમથી આરોગે છે અને ભગવાનના દર્શનથી ધન્યતા અનુભવે છે.
આ ભક્તિમય કાર્યક્રમમાં શાળાના સંચાલક અને ટ્રસ્ટી માનવભાઈ જોશી, આચાર્ય અક્ષરભાઈ જોશી તેમજ તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના સિંચન માટે એક સુંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.


