અંબાજી : અંબાજી માતાના મંદિરને શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે અને તે ગુજરાતનું સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે. ભક્તોની ઇચ્છા (માનતા) પૂરી થતાં માં અંબાના ચરણોમાં યથાશક્તિ દાન ચઢાવવતાં હોય છે. ત્યારે તાજેતરમાં એક શ્રદ્ધાળુ દ્વારા યાત્રાધામ અંબાજી સ્થિત સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ટ્રસ્ટને અંદાજિત રૂ. 46 લાખની કિંમતનું 40 કિલો ચાંદીનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. આ દાનમાં ચાંદીના ભવ્ય દ્વાર, છત્ર અને થાળીનો સમાવેશ થાય છે, જે માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના એક નનામી માઇભક્ત પરિવાર દ્વારા આ અમૂલ્ય ભેટ માતાજીને અર્પણ કરવામાં આવી છે. આ દાતા પરિવારે પોતાની ઓળખ અને ગામ ગુપ્ત રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.અમદાવાદના માઇભક્તએ ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવજી મંદિરની જાળીના દ્વાર બનાવીને ભેટ આપ્યા છે. એટલું જ નહીં, એક મોટું છત્ર પણ ટ્રસ્ટને ભેટ ધર્યું છે.મંદિર ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે આવા નિઃસ્વાર્થ દાનથી મંદિરના વિકાસ કાર્યોને વેગ મળે છે. આ દાન ભક્તોની માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે.
મહત્વનું છે કે અંબાજીમાં અમદાવાદના જે માઇભક્તએ દાન કર્યું છે તે દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખી 40 કિલો ચાંદીનું દાન કર્યું છે. ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે દાન સ્વીકાર્યું હતું. અમદાવાદના એક ભક્ત મંડળ દ્વારા ગબ્બરગઢ ઉપર અખંડ જ્યોતના મંદિર અને ભૈરવજી મંદિરના જાળી વાળા દ્વાર, પ્રસાદ માટે ચાંદીનો વાટકો, ચાંદી મૂકવા માટે બાજોટનું દાન કર્યું છે.