અમદાવાદઃ શહેરની ગરબા પ્રેમીઓ માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત નવરાત્રિનું આયોજન કરવામાં આવશે. 26થી 28 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી ગરબા રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. રંગતાલી રિવરફ્રન્ટ નામથી યોજાનારા ત્રણ દિવસીય ગરબાનું આયોજન કરવા માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે A, B, C અને D એમ ચારે બ્લોક ખાતે રંગતાલી રિવરફ્રન્ટ નામે ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સમગ્ર ત્રણ દિવસ ગરબાનું સંચાલન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવશે. નવરાત્રિમાં ગરબા રમવા જતા ખેલૈયાઓને પાર્કિંગ, સિક્યુરિટી અને ખાણીપીણી સહિતની સુવિધાઓની જરૂર હોય છે. જેથી આ તમામ સુવિધાઓ પણ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર યોજાનારા ગરબામાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ખેલૈયાઓને પોતાના સૂર પર ડોલાવશે.
સૌ પ્રથમ યોજાવા જઈ રહેલા ગરબામાં કોઈપણ અસામાજિક તત્વો કે અન્ય લોકો ટિકિટ વિના ન પ્રવેશી શકે તેના માટે ડિજિટલ એન્ટ્રી રાખવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. જેમાં માત્ર ઓનલાઈન જ લોકો ટિકિટ મેળવી શકશે અને ટિકિટ પરના બારકોડ સ્કેન કરી અને લોકોને ગરબામાં પ્રવેશ આપવામાં આવે એ મુજબનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નવરાત્રિમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓની સુવિધાને પ્રાધાન્ય અપાશે. આયોજકો દ્વારા પાર્કિંગ, સિક્યુરિટી અને વિવિધ પ્રકારની ખાણીપીણી સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઇવેન્ટ સેન્ટર ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ગરબા મહોત્સવમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો તેમના સૂર અને તાલે ખેલૈયાઓને ગરબે ઘૂમવા મજબૂર કરશે.


