અમદાવાદ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બીજી તરફ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી પણ એક્શનમાં આવી છે. શહેરની તમામ શાળાના આચાર્યોને દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવાના આદેશ આપ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ સ્વયં શિસ્ત તરફ પ્રેરાય તેવા પ્રયાસો શાળા કક્ષાએ કરવા કડક સૂચના આપવામાં આવી છે. સ્કૂલના દરેક વર્ગમાં શિક્ષક દ્વારા સમયાંતરે વિદ્યાર્થીઓની સ્કૂલ બેગની ચકાસણી કરવાના પણ આદેશ કરાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં સ્કૂલ વિદ્યાર્થીની હત્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં આવ્યા છે અને આવી ઘટના અન્ય કોઈ શાળામાં ન બને તેના ભાગરૂપે દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવાના આદેશ કરવામાં આવ્યા છે. શિસ્ત સમિતિ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયક કાર્યો કરશે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે શાળા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને સમિતિના સભ્યો નક્કી કરવા. શાળાના વિદ્યાર્થીઓ સ્વયં શિસ્ત તરફ પ્રેરાય તેવા પ્રયાસો શાળા કક્ષાએ કરવા. શાળાના દરેક વિદ્યાર્થીઓને શિસ્ત સમિતિના કાર્યોથી અવગત કરવા. શાળા કક્ષાએ શિસ્ત સમિતિના સભ્યોની વિગતો બુલેટિન બોર્ડ પર રાખવી. વર્ગમાં શિક્ષક દ્વારા સમયાંતરે વિદ્યાર્થીઓની સ્કૂલ બેગની ચકાસણી કરવી તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે.
સેવન્થ ડે સ્કૂલની બહાર એક વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરવાનું મામલો સામે આવ્યા બાદ મોટો વિવાદ થયો છે. છેલ્લા ત્રણ દિવસથી શાળામાં આ મામલે આંદોલન કરવામાં આવી રહ્યું છે. વાલીઓ અને અલગ અલગ સંગઠનો દ્વારા શાળામાં તોડફોડ અને શાળાના સ્ટાફ સાથે મારપીટ કર્યાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
આંદોલનકારીઓ દ્વારા વિદ્યાર્થીની નીચે ઘટના બની છે તે મામલામાં સ્કૂલ સંચાલકોને પણ દોષિત ઠેરવ્યા છે અને સ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જેને લઈને છેલ્લા બે દિવસથી શાળામાં હંગામો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ ઘટના શિક્ષણ અધિકારીની કચેરીથી છુપાવવા બદલ સ્કૂલને નોટિસ તો પાઠવવામાં આવી છે સાથે જ અલગ અલગ તપાસ પણ સ્કૂલ સામે કરવામાં આવી રહી છે.


