અમદાવાદ : આ વખતે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદ્રપદ પૂર્ણિમાના 7 સપ્ટેમ્બર, રવિવારના રોજ દિવસે થવાનું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, જે શતભિષા નક્ષત્ર શનિ કુંભ રાશિમાં થવાનું છે. કાશીના જ્યોતિષ ચક્રપાણી ભટ્ટના જણાવ્યા મુજબ, ભારતમાં ચંદ્રગ્રહણનો સમય રાત્રે 9:57 થી 11:46 વાગ્યા સુધીનો છે. આ ચંદ્રગ્રહણનો અંત મોડી રાત્રે 1:27 વાગ્યે થશે. આ વખતે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ રંગનો દેખાશે, જેને બ્લડ મૂન કહેવામાં આવે છે. આ ચંદ્રગ્રહણ 3 કલાક 28 મિનિટ 2 સેકન્ડ સુધી ચાલશે. ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે.
ચંદ્રગ્રહણને પગલે ગુજરાતના મોટા મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દ્વારકાધીશ મંદિર, પાવાગઢ મહાકાળી મંદિર, અંબાજી મંદિર તથા શામળાજી મંદિરમાં ભક્તો માટે સમયમાં બદલાવ કરાયો છે. જે આ મુજબ છે.
ચંદ્ર ગ્રહણને લઈ દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર
ચંદ્રગ્રહણને કારણે દ્વારકાના જગતમંદિરના દૈનિક કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે, મંદિરમાં ભગવાનની મંગળા આરતી સવારે ૬ વાગ્યે વહેલી કરવામાં આવશે. સવારથી બપોર સુધીનો કાર્યક્રમ સામાન્ય રીતે ચાલશે અને શ્રદ્ધાળુઓ માટે દર્શન ખુલ્લા રહેશે. જોકે, બપોરે ૧:૩૦ વાગ્યે, ચંદ્ર ગ્રહણના કારણે મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવશે. આ સમયથી લઈને ગ્રહણ સમાપ્ત થાય ત્યાં સુધી, મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. સાંજના સમયે પણ મંદિર ખુલ્લું રહેશે નહીં.
આ ગ્રહણના પ્રભાવને ધ્યાનમાં રાખીને, આખો દિવસ અને સાંજ મંદિર બંધ રહેશે. આ પરિવર્તન ફક્ત ૭ સપ્ટેમ્બર માટે જ છે. બીજા દિવસે, એટલે કે ૮ સપ્ટેમ્બર, જગતમંદિર તેના રાબેતા મુજબના સમયપત્રક અનુસાર ફરીથી ખુલશે અને તમામ દૈનિક વિધિઓ અને દર્શન ફરીથી શરૂ થશે. આ જાહેરાત ભક્તોને ગ્રહણના દિવસે થનારા ફેરફાર વિશે જાણ કરવા માટે કરવામાં આવી છે જેથી કોઈ અસુવિધા ન થાય.
ચંદ્ર ગ્રહણને લઈ પાવાગઢ મંદિરનો સમય બદલાશે
શક્તિપીઠ પાવાગઢ ખાતે માં મહાકાળી નિજ મંદિર ચંદ્રગ્રહણને લઈ બંધ રહેશે. આગામી 7 સપ્ટેમ્બર 2025 ને રવિવારને પૂનમના રોજ ચંદ્ર ગ્રહણ છે. ચંદ્ર ગ્રહણના દિવસે સવારે 5.00 કલાકે આરતી થશે. ચંદ્ર ગ્રહણના દિવસે સવારના 5.00 કલાકથી બપોરના 12.00 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે. 12 વાગ્યા બાદ મંદિરના કપાટ બંધ કરાશે. બીજા દિવસે એટલે તારીખ 8 સપ્ટેમ્બરથી સવારે 6.00 કલાકથી મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લું રહેશે.
ચંદ્ર ગ્રહણને લઈ અંબાજી મંદિરમાં પણ ફેરફાર
ભાદરવી પૂનમના મેળાના પાંચમા દિવસે અંબાજી મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ હોવાથી મંદિર વહેલા બંધ થશે. 7 સપ્ટેમ્બરે બપોરે 12.30 કલાકે મંદિર બંધ થશે. શ્રદ્ધાળુઓ 12.30 કલાક બાદ ધ્વજારોહણ પણ નહીં કરી શકે. સાંજના 5 વાગ્યા સુધી જાળીમાંથી માતાના દર્શન થશે. ભાદરવી પૂનમે સાંજના 5 વાગ્યા બાદ મંદિર દર્શન માટે સંપૂર્ણ પણે બંધ રહેશે.
ચંદ્ર ગ્રહણને લઈ શામળાજી મંદિરની માહિતી
યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કારાયો છે. પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણને પગલે દર્શનનો સમય બદલાયો છે. મંદિર સવારે એક કલાક વહેલું ખુલશે અને સાંજે અઢી કલાક વહેલું બંધ થશે.
દર્શન સમય
મંદિર ખુલશે સવારે 5 કલાકે
મંગળા આરતી સવારે 5:45 કલાકે
શણગાર આરતી સવારે 8:00 કલાકે
મંદિર બંધ રાજભોગ ધરાશે સવારે 10:00 કલાકે
રાજભોગ આરતી સવારે 10:45 કલાકે
મંદિર બંધ થશે સવારે 11:30 કલાક
ઉત્થાપન મંદિર ખુલશે બપોરે 12:45 કલાકે
સંધ્યા આરતી સાંજે 4:30 કલાકે
શયન આરતી સાંજે 5:30 કલાકે
મંદિર મંગલ બંધ થશે સાંજે 6:00 કલાકે
પૂર્ણિમાના બીજા દિવસે મંદિર પ્રક્ષાલન બાદ દર્શન રાબેતા મુજબ થશે


