અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મોટા જંકશન ઉપર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. વાડજ જંકશન પર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજની કામગીરીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુના વાડજથી રાણીપ રામાપીર ટેકરા તરફ જતો રોડ બે મહિના કે કામગીરી ચાલુ રહે ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદના જુના વાડજ જંકશન ઉપર ફોર લેન ફલાય ઓવરબ્રિજ બનાવવાની તેમજ ટુ લેન અંડર પાસ બનાવવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.જેને લઈને આગામી 3 ઓક્ટોબરથી જુના વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ રામાપીરના ટેકરા તરફનો રોડ બ્રિજની કામગીરીના પગલે આ રોડ બંધ કરવામાં આવશે.
આ વાહનચાલકોના ટ્રાફિકને જુના વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઈ રામાપીરના ટેકરા તરફથી રાણીપ તરફ જવાના રસ્તે તેમજ વાડજ જંકશનથી ભીમજીપુરા ચાર રસ્તા થઇ અખબાર નગર સર્કલથી નેશનલ હેન્ડલુમ જંકશન તરફ જતા રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેથી આ રસ્તા પર પસાર થતાં તમામ પ્રકારના વાહનોએ 3 ઓક્ટોબરથી રાણીપ તરફ અવર જવર માટે ડાયવર્ટ કરવામાં આવેલા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.આમ વાહન ચાલકોએ 500 મીટર વધુ ફરવું પડશે.
જુના વાડજ જંકશન પર પાઈલકેપ, પીયર તેમજ પીયરકેપની કામગીરી માટે 3 ઓક્ટોબરથી બે માસ અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી વાડજ જંક્શન પરથી રાણીપ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવશે .આ રોડ પરથી દરરોજ 100થી વધુ એસટી બસ, 50થી વધુ AMTS અને BRTS તેમજ 25000થી વધુ વાહન ચાલકો પસાર થતા હોય છે.