અમદાવાદ : મેગા સિટી અમદાવાદ સતત ધમધમતુ શહેર છે. સાથે સાથે અમદાવાદમાં હાલ વિકાસના વિવિધ કામ ચાલી રહ્યા છે. જેના કારણે શહેરના વિવિધ બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. આ દરમિયાન શહેરમાં ટ્રાફિકથી ધમધમતો એક બ્રિજ નવેમ્બરથી પાંચ મહિના માટે બંધ રહેશે. નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ રખાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારોલથી વિશાલા તરફ જતા શાસ્ત્રી બ્રિજનો દસ દિવસ સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં બ્રિજના 15 વર્ષ કરતાં જૂનાં બેરિંગ બદલવાની જરૂર હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આથી નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા ખાનગી કંપનીને ટેન્ડર આપી બ્રિજના બેરિંગ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે. 15 વર્ષથી જૂના હોય તેવા 180 બેરિંગ બદલાશે. સાથે જ બ્રિજના પેરાફેટની દીવાલને પણ નવી બનાવવાની કામગીરી શરૂ કરાશે. આ ઉપરાંત બ્રિજના એક્સપાન્શન જોઇન્ટનું પણ સમારકામ કરાશે.
નવેમ્બર મહિનામાં જ્યારે બ્રિજની કામગીરી શરૂ થશે ત્યારે પાંચ મહિના માટે નારોલથી વિશાલા તરફના બ્રિજને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલરને અવર-જવર કરવા માટે સામેના એટલે કે વિશાલાથી નારોલ તરફના બ્રિજ પરથી વાહનોને ડાઇવર્ઝન આપવામાં આવશે. હાલમાં પણ બ્રિજ પરથી મોટાં વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત હોવાના કારણે તમામ વાહનો દાણીલીમડા થઈને અંજલિ ચાર રસ્તા પાસેથી જઈ શકશે
ઉલ્લેખનીય છે કે, આ બ્રિજનું સમારકામ એક વર્ષ પહેલા જ કરાયું હતું ત્યારે માત્ર સરફેસિંગની કામગીરી કરાઈ હતી. ગત વર્ષે 9 ઓગસ્ટના રોજ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. અમદાવાદથી બહાર આવવા જવા માટે આ બ્રિજ બહુ જ મહત્વનો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તરફ જવા માટે આ જ બ્રિજ પરથી વાહનો પસાર થતા હોય છે. રોજના લાખોની સંખ્યામાં વાહનો આ બ્રિજ પરથી અવરજવર કરતા હોય છે. ત્યારે બ્રિજ કરવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે.