અમદાવાદ : એર ઇન્ડિયા અને એર કેનેડાએ ફરી એકવાર ભાગીદારી (કોડશેર કરાર) શરૂ કરી છે. આ કરાર બે ડિસેમ્બર 2025થી લાગુ થશે. જેના કારણે ખાસ કરીને અમદાવાદના લોકો માટે કેનેડા જવાની અથવા કેનેડાથી અમદાવાદ આવવાની મુસાફરી ખૂબ સરળ બની જશે. આ કરારથી અમદાવાદી મુસાફરોને પાંચ મોટા ફાયદા થશે. જેથી તેમની મુસાફરી પણ વધુ સરળતાથી થઈ શકશે. જેનું બુકિંગ પણ જલદી શરૂ થઈ જશે. મંજૂરી મળ્યા બાદ આ કોડશેર ફ્લાઈટ્સ બુકિંગ માટે ઉપલ્બધ થઈ જશે. આ કરારથી અમદાવાદની ઇન્ટરનેશનલ જોડાણમાં વધારો થશે અને પ્રવાસીઓને પણ ફાયદો થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એર ઈન્ડિયાએ શનિવારે જાહેરાત કરી હતી કે તેણે એર કેનેડા સાથે તેના ભાગીદારી (કોડશેર કરાર)ને પાંચ વર્ષ પછી પુનઃસ્થાપિત કર્યો છે.ફ્લાઇટ વિકલ્પો પ્રવાસીઓના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા અને ભારત અને કેનેડા વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે, એર ઈન્ડિયાએ શનિવારે તેના સાથી સ્ટાર એલાયન્સ કેરિયર, એર કેનેડા સાથેના ભાગીદારી (કોડશેર) કરારને પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી, જે 2 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવશે.
આ કરારથી મુસાફરોને થતાં ફાયદા
ફાયદા નંબર-1
એક જ ટિકિટમાં આખી મુસાફરી એટલે કે હવે કેનેડાથી અમદાવાદ આવતા મુસાફરોએ એક જ ટિકિટ બુક કરાવવાની રહેશે. ધારો કે, વાનકુવરથી દિલ્હી (એર કેનેડા) અને દિલ્હીથી અમદાવાદ (એર ઇન્ડિયા) વચ્ચે ફ્લાઈટ બદલે તો પણ ટિકિટ અલગ લેવાની જરૂર નહીં પડે.
ફાયદા નંબર-2
મુસાફરોની સૌથ મોટી તકલીફોમાં એક છે સામાન. નવા કરારને કારણે સામાનનું ટેન્શન નહીં રહે. યુનીફાઈડ લગેજ સિસ્ટમ એટલે કે દિલ્હી ખાતે સામાન ઉતારીને ફરીથી ચેક-ઇન કરવું નહીં પડે. વધારાના સામાન માટે અલગ અલગ ચાર્જ નહીં લાગે.
ફાયદા નંબર-3
મુસાફરી બિલકુલ સીમલેસ બની જશે જેથી અમદાવાદને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીમાં મોટો ફાયદો થશે. દિલ્હી મારફતે કેનેડાથી આવતા લોકો સરળતાથી અમદાવાદ પહોંચી શકશે. એર કેનેડાના મુસાફરોને ભારતના અન્ય શહેરો જેમ કે, અમૃતસર, મુંબઇ, હૈદરાબાદ અને કોચીને પણ એ જ રીતે જોડશે.
ફાયદા નંબર-4
ગુજરાતી વિદ્યાર્થીઓ અને પરિવારો માટે વરદાન રૂપ આ કરાર સાબિત થશે. દર વર્ષે હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. ધંધાર્થીઓ અને સામાન્ય પરિવારો કેનેડા મુલાકાત જતા હોય છે તેમને સરળ મુસાફરી, ઓછી ઝંઝટ અને વધુ સુવિધાઓ મળશે.
ફાયદા નંબર-5
લોયલ્ટી પ્રોગ્રામવાળાઓને વધારાના લાભ મળશે. એર ઇન્ડિયા ‘મહારાજા ક્લબ’ના એલિટ સભ્યોને એર કેનેડાની ફ્લાઈટ્સમાં વધારે સામાન, લાઉન્જ એક્સેસ, પ્રાથમિક ચેક-ઇન જેવી સુવિધાઓ મળતી રહેશે.


