અમદાવાદ : અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં AMCના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન સ્થાનિક લારીવાળાઓ દ્વારા પોલીસ અને એસ્ટેટ વિભાગ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે તાત્કાલિક ધોરણે હુમલો કરનાર લોકોનો સામાન ભરી લીધો હતો. આ હુમલાની ઘટનામાં એક પોલીસકર્મીને ઇજા થતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત નરોડા સ્વામિનારાયણ પાર્ક પાસે ફૂટપાથ અને જાહેર રોડ પર દબાણ જમાવીને બેઠેલા પાથરણાવાળાઓને હટાવવા માટે કોર્પોરેશનની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી. જ્યારે ટીમે પાથરણા હટાવવાની કામગીરી શરૂ કરી, ત્યારે સ્થાનિક વેપારીઓ અને પાથરણાવાળાઓએ વિરોધ નોંધાવ્યો હતો. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ જોતજોતામાં મામલો ગરમાયો હતો અને ઉગ્ર દલીલો શરૂ થઈ ગઈ હતી.
ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો. તકરાર એટલી હદે વધી ગઈ કે ટોળામાંથી કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ અને કોર્પોરેશનની ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન ટોળાએ મારેલો એક મોટો પથ્થર ફરજ પર તૈનાત પોલીસ જવાનને વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. ઈજાગ્રસ્ત પોલીસ જવાનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હુમલાની ઘટના બાદ નરોડા પોલીસનો વધુ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. સરકારી ફરજમાં રૂકાવટ અને પોલીસ પર હુમલો કરવા બદલ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે સ્થળ પરથી હુમલો કરનાર બે શખ્સોની અટકાયત કરી છે. નરોડા પોલીસ મથકે તોફાની ટોળા વિરુદ્ધ રાયોટિંગ અને સરકારી અધિકારી પર હુમલો કરવા બદલ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અગાઉ પણ નરોડા વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી AMCની ટીમ સાથે શાકભાજીના લારીધારકો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઘટના સ્વામિનારાયણ પાર્ક નજીક બની હતી, જ્યાં રોડ પર ગેરકાયદે રીતે ઉભી રાખવામાં આવેલી શાકભાજીની લારીઓ દૂર કરવા માટે AMCની ટીમ પહોંચી હતી. AMCની ટીમ ગાડી સાથે સ્થળ પર પહોંચીને લારીઓ હટાવવાનું કામ શરૂ કરી રહી હતી, ત્યારે લારીધારકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં AMC દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન – એમ પાંચ સ્તંભ પર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકી છે. જેમાં હાલમાં દબાણ અને પાર્કિંગ મુદ્દે AMC દ્વારા સવારે, સાંજે અને રાત્રે એમ ત્રણ શિફ્ટમાં સઘન કામગીરી ચાલી રહી છે.


