અમદાવાદ : શહેરના શેલામાં આવેલ ક્લબ O7માં આવેલી ક્યુબ લોન્જની ગંભીર બેદરકારી સામે આવી છે. આ ઘટનામાં બ્રાહ્મણ ધર્મના અનુયાયી પરિવારે વેજ ઓર્ડર કર્યો હતો જેના બદલે લોન્જ દ્વારા નોનવેજ પીરસીને બ્રાહ્મણ પરિવારની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી હતી. ક્યુબ લોન્જની ભૂલને કારણે ગ્રાહક પરિવારે કાયદેસર પગલાં લીધા હતા. ખોટી ડિશ સર્વ કરવા અંગે કમિશને ક્યુબ લોન્જને ગ્રાહકને કુલ રૂ.25 હજારનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ, શહેરના શેલા વિસ્તારમાં રહેતા ગૌરાંગ રાવલ અને તેમનો પરિવાર 7 માર્ચ 2024ના રોજ બપોરે 1.45 વાગ્યે ક્લબ O7ની ક્યુબ લોન્જમાં લંચ માટે ગયા હતા. તેમણે વેજ મખ્ખનવાલા, બટર રોટી, દાલ ફ્રાય, પાપડ અને છાશનો ઓર્ડર આપ્યો. ફૂડ સર્વ થયા બાદ વેજ મખ્ખનવાલાની ડિશ શંકાસ્પદ લાગતાં, વેઈટર અને પછી શેફને બોલાવવામાં આવ્યા. શેફે વેજ હોવાની ખાતરી આપી, પરંતુ જ્યારે ટેસ્ટ કર્યો તો તે મુર્ગ મખ્ખનવાલા (ચિકન) નીકળી.
આ ઘટનાની જાણ થતાં જ મેનેજરને બોલાવવામાં આવ્યા, જેમણે સ્વીકાર્યું કે ફૂડ નોનવેજ છે. આ શુદ્ધ બ્રાહ્મણ પરિવાર માટે આઘાતજનક બનાવ બન્યો. ગૌરાંગ રાવલની બહેન રડવા લાગી અને મેનેજરે લેખિતમાં માફી માંગી. લૉન્જ મેનેજમેન્ટે લંચ ફ્રીમાં આપવા કહ્યું, પરંતુ તેમણે અસ્વીકાર કર્યો અને રેસ્ટોરન્ટ છોડ્યું. ઘરે પરત ફર્યા બાદ ગૌરાંગની બહેનને ઉલ્ટી થઈ અને તબિયત બગડી.
આ ઘટનાના પગલે ગૌરાંગ રાવલે ક્યુબ લોન્જને લીગલ નોટિસ પાઠવી. કોઈ જવાબ ન મળતાં અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રૂ.30 લાખનો દાવો દાખલ કર્યો. જેમાં 10 લાખ રૂપિયા માનસિક પીડાના, 10 લાખ રૂપિયા પારિવારિક સંબંધ બગાડવાના અને 10 લાખ રૂપિયા મૂળભૂત હક્કોના ભંગ બદલ વળતર સ્વરૂપે માંગવામાં આવ્યા છે. તો 50 હજાર રૂપિયા કમિશનમાં કેસ દાખલ કરવાના કાનૂની ખર્ચના માંગવામાં આવ્યો હતો.
સામે પક્ષે રેસ્ટોરન્ટ તરફે રજૂઆત થઈ હતી કે વેઇટર દ્વારા ઓર્ડર લેવામાં ભૂલ થવી તે એક માનવીય ભૂલ છે. જાણી જોઈને તેમનો ઈરાદો કોઈની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો કે ગ્રાહક કમિશનને આ દલીલ નકારી નાખી નોંધ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડીને ફક્ત માફી માંગી લેવાથી કામ પતી જતું નથી. આથી ગ્રાહકને 20 હજાર રૂપિયા વળતર અને 05 હજાર રૂપિયા કેસનો ખર્ચ ચૂકવવામાં આવે.


