અમદાવાદ : ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને નવું નાટક શરૂ કરી દીધું છે. હંમેશા ભારતનો વિરોધ કરતી પાકિસ્તાન સરકારે તેમની ક્રિકેટ ટીમને ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી આપી છે, પરંતુ આ સાથે એક એવી શરત મૂકી છે, જેનાથી ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે.જોકે સવાલ એ છે કે આ વિશ્વ કપની ફાઇનલમાં ભારત-પાકિસ્તાન સામસામે આવશે તો શું? પાકિસ્તાન એ ફાઇનલ પણ નહીં રમે? આ સવાલો ક્રિકેટ જગતમાં ચર્ચાય છે.
પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ એક્સ હેન્ડલ પરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં ભાગ લેશે નહીં. એટલે કે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચો નહીં રમાય. જોકે સવાલ એ છે કે આ વિશ્વ કપની ફાઇનલમાં ભારત-પાકિસ્તાન સામસામે આવશે તો શું? પાકિસ્તાન એ ફાઇનલ પણ નહીં રમે? આ સવાલો ક્રિકેટ જગતમાં ચર્ચાય છે.
પાકિસ્તાને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે પણ ભારત સામે રમવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સ્થિતિમાં આખા વર્લ્ડકપનું શેડ્યૂલ ખોરવાઈ શકે છે. આ મામલે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) શું સ્ટેન્ડ લે છે તેના પર સૌની નજર છે, જોકે અત્યાર સુધી BCCI કે ICC તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ખરું કહીએ તો વર્લ્ડ કપમાં ભારત (India) સામે પાકિસ્તાન મોટા ભાગે હારતું જ આવ્યું છે એટલે બની શકે કે વધુ એક પરાજયના ડરથી પણ પાકિસ્તાને (વર્તમાન વિવાદમાં તક મળતાં) ભારત સામે રમવાનું માંડી વાળ્યું હશે જ. ઉલ્લેખનીય છે કે તાજેતરના એશિયા કપમાં ભારતે ફાઇનલ સહિત ત્રણેય મૅચમાં પાકિસ્તાનને પછડાટ આપી હતી. ટી-20 વિશ્વ કપમાં આઠમાંથી સાત મૅચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે.
કોઈ પણ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મૅચ વખતે સંબંધિત સ્ટેડિયમ ફુલ પૅક્ડ હોય છે જ, દુનિયાભરમાં કરોડો દર્શકો ટીવી પર આ મૅચ માણતા હોય છે. આઇસીસી મોટા ભાગે ભારત-પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખતું હોય છે કે જેથી વધુ પ્રેક્ષકો, દર્શકો આકર્ષાય તેમ જ બ્રૉડકાસ્ટર્સ અને સ્પૉન્સર્સ પણ વધુ કૉન્ટ્રૅક્ટ આપવામાં રસ બતાવે.


