અમદાવાદ: મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામ, અસલાલી ખાતે ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરહરિ અમીનની અધ્યક્ષતામાં આજે એક નિઃશુલ્ક મેડિકલ ચેક-અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનું આયોજન “આવો ગાવ ચલે” (Aavo Gaam Chale) અભિયાન અંતર્ગત અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) તથા જુનિયર ડોક્ટર્સ એસોસિએશન (JDA) ના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ મેડિકલ કેમ્પમાં જનરલ ફિઝિશિયન, ENT (કાન-નાક-ગળા), ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન (બાળરોગ), ગાયનેકોલોજિસ્ટ, ઓપ્થેલ્મોલોજિસ્ટ (આંખ), ડર્મેટોલોજિસ્ટ (ચામડી), ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ અને જનરલ સર્જન સહિતના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. લાભાર્થીઓનું નિઃશુલ્ક નિદાન કરવાની સાથે, જરૂરિયાત મુજબ બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ મેડિકલ કેમ્પનો 250 થી વધુ ગ્રામજનોએ સીધો લાભ લીધો હતો. આવા આયોજનોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારો સુધી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
આ પ્રસંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે “અમદાવાદ મેડિકલ એસોસિએશન માટે સમાજ સેવા એ માત્ર જવાબદારી નહીં પરંતુ એક પવિત્ર ફરજ છે. ‘આવો ગામ ચાલે’ જેવા અભિયાનો દ્વારા જ્યારે ડોક્ટરો ગામડાઓ સુધી પહોંચે છે, ત્યારે ડોક્ટર અને દર્દી વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે. આજે 250 થી વધુ ગ્રામજનોને આ સેવાનો લાભ મળ્યો તે AMA માટે ગૌરવની વાત છે. ભવિષ્યમાં પણ અમે આવા લોકહિતના કાર્યો કરતા રહીશું.”
આ ઉપરાંત અમદાવાદ મેડિકલ એસોસિએશનના માનદ મંત્રી ડો. મૌલિક શેઠે જણાવ્યું હતું કે “રોગ થયા પછી સારવાર કરવા કરતા, રોગ થતા પહેલા તકેદારી રાખવી અને સમયસર મેડિકલ ચેક-અપ કરાવવું વધુ હિતાવહ છે. ગ્રામીણ અને છેવાડાના વિસ્તારો સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન હંમેશા કટિબદ્ધ છે.”
આ પ્રસંગે મણિબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટ અને મેડિકલ એસોસિએશનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે: ટ્રસ્ટ પદાધિકારીઓ: ડો. વરૂણ અમીન (ઉપપ્રમુખ), શ્રી પ્રવિણચંદ્ર અમીન (સેક્રેટરી) અને ટ્રસ્ટીશ્રીઓ – શ્રી ઘનશ્યામભાઈ અમીન, શ્રીમતી નીતાબેન અમીન, શ્રીમતી વિજુલબેન અમીન, શ્રીમતી મૃદુલાબેન અમીન, શ્રી ભગવત અમીન અને ડો. વિશ્વાસ અમીન.
આ ઉપરાંત મેડિકલ એસોસિએશન અગ્રણીઓ: ડો. તુષાર પટેલ, ડો. જીગ્નેશભાઈ શાહ, ડો. મૌલિક શેઠ અને ડો. મનજીત નાયક સહિત અસલાલી ગામના આગેવાનોમાં સરપંચ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, શ્રી અજીતભાઈ પટેલ અને શ્રી પ્રફુલભાઈ અમીન ઉપસ્થિત રહ્યા હતા.


