અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્રની ગંભીર બેદરકારીથી બે ગાયોના કરુણ મોત નીપજ્યા હોવાની ગંભીર ઘટના સામે છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ બેદરકારી સામે આવી છે. ખોદેલા ખાડામાં કોઈપણ પ્રકારનું બેરી કેડિંગ કરવામાં આવ્યું નહોતું જેના કારણે થઈ અને બે ગાયો પડી ગઈ અને મૃત્યુ પામી છે. જ્યારે અન્ય ત્રણ ગાયોને મહામુસીબતે બચાવી લેવામાં આવી છે, ત્યારે આ ઘટનાથી ગૌપ્રેમીઓ અને શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ લાંભા વોર્ડના સૈજપુર ગોપાલપુર ગ્રામ્ય વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના ચેમ્બર બનાવવા માટે તંત્ર દ્વારા મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. નિયમ મુજબ કોઈપણ બાંધકામ કે ખોદકામ સમયે સુરક્ષા માટે આસપાસ બેરિકેટિંગ કરવું અનિવાર્ય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટર અને ઇજનેરોએ કોઈ પણ પ્રકારનું પ્રોટેક્શન કે બેરિકેટિંગ કર્યું નહોતું. જેથી સુરક્ષાના અભાવે ગાયોનું ટોળું અંધારામાં અથવા અજાણતા આ ઊંડા ખાડામાં ખાબક્યું હતું.જેના કારણે બે ગાયો પડી ગઈ અને મૃત્યુ પામી છે. જ્યારે અન્ય ત્રણ ગાયોને મહામુસીબતે બચાવી લેવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વહેલી સવારે બનેલી આ ઘટનામાં કુલ પાંચ ગાયો આ ખાડામાં પડી હતી. જેથી અચાનક ધડામ જેવો અવાજ સંભળાતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે બાદ સ્થાનિકોએ ભારે જહેમતથી ત્રણ ગાયોને જીવતી બહાર કાઢી લેવામાં આવી હતી, જે હાલ અત્યંત ગંભીર હાલતમાં છે. પરંતુ દુર્ભાગ્યવશ બે ગાયોના ખાડામાં જ મોત નીપજ્યા હતા.
બાદમાં ઘટનાની જાણ થતા જ AMCના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને JCBની મદદથી ગાયોના મૃદદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની સાથે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઊઠી રહી છે.
આ દુર્ઘટનાને પગલે તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જે સ્થળે આ ખાડો ખોદવામાં આવ્યો હતો તે રહેણાંક વિસ્તાર છે અને ત્યાં મોટી સંખ્યામાં પશુઓની અવરજવર રહે છે. તેમ છતાં સુરક્ષા માટે કોઈ પણ પ્રકારના બેરિકેડિંગ કરવામાં આવ્યા નહોતા.ગૌપ્રેમીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જો તંત્રએ સમયસર તકેદારી રાખી હોત તો નિર્દોષ અબોલ પશુઓના જીવ બચાવી શકાયા હોત.


