અમદાવાદ : અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. શહેરમાં મહત્વના જાહેર સ્થળો જ્યાં ભારે અવરજવર રહેતી હોય એવા વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNDC વિભાગ અને શહેર પોલીસ દ્વારા ‘નો કેટલ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે.
શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડ, ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડ, મધ્ય ઝોનના ખાડીયા વોર્ડ, દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડ અને કાંકરીયા તથા પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડ, સ્ટેડિયમ, પાલડી વોર્ડ, નવાવાડજ વોર્ડ, નારણપુરા વોર્ડ, ચાંદખેડા વોર્ડ, મોટેરા અને સાબરમતી વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.નો-કેટલ ઝોન એરિયામાં સૂચક બોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
અમદાવાદના એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, ગાર્ડન, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, સાબરમતી આશ્રમ , સ્ટેડિયમ, શાળા-કોલેજ, યુનિવર્સિટી, બજારો, બ્રિજ, રિંગ રોડ, રેલવે ક્રોસિંગ, અંડરપાસ, ચાર રસ્તા, નેશનલ હાઇ-વે અને એસ.પી. રિંગ રોડ જેવા ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે સર્જાતી અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે પોલીસ કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ જાહેરનામાના અસરકારક અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ સંયુક્ત ચકાસણી કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત નો-કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે પશુઓને રાખવાના સ્થળોની ચકાસણી, લાયસન્સ-પરમિટની તપાસ, પશુ શિફ્ટીંગ અને કડક એન્ફોર્સમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે. લાયસન્સ વિના અથવા લાયસન્સ મુજબની સંખ્યા કરતાં વધુ પશુઓ રાખનાર માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, ગાર્ડન, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, સાબરમતી આશ્રમ , સ્ટેડિયમ, શાળા-કોલેજ, યુનિવર્સિટી, બજારો, બ્રિજ, રિંગ રોડ, રેલવે ક્રોસિંગ, અંડરપાસ, ચાર રસ્તા, નેશનલ હાઇવે અને એસ.પી. રિંગ રોડ જેવા ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે સર્જાતી અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે પોલીસ કમિશનરશ્રી દ્વારા વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
લાયસન્સ ધરાવતા પશુ માલિકોને પશુઓ શહેર બહાર ખસેડવાની તક આપવામાં આવે છે અને સમયમર્યાદામાં પાલન ન થાય તો પશુઓ પકડીને કેટલ પાઉન્ડમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત ‘ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ’ની સ્થિતિ સતત જાળવી રાખવા માટે સંયુક્ત ટીમો દ્વારા નિયમિત અને સધન ચકાસણી કરવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત દક્ષિણ ઝોનના મણિનગર વિસ્તારમાં તાજેતરમાં સી.એન.સી.ડી., સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લોકલ પોલીસ, એસ.આર.પી. તથા એસ્ટેટ વિભાગની સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 19 લાયસન્સ/પરમિટ હેઠળના કુલ 94 પશુઓને શહેર બહાર ખસેડવામાં આવ્યા હતા તેમજ 19 વાડા અને 1 પાણીનો હવાડો દૂર કરવામાં આવ્યો છે. નો-કેટલ ઝોન એરિયામાં સૂચક બોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
આમ, અમદાવાદ શહેરને જાહેર સુરક્ષા અંગે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે “ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસેન્સ” અભિયાન આગામી સમયમાં વધુ સઘન બનાવવામાં આવશે. શહેરને રખડતા પશુત્રાસથી મુક્ત રાખવા માટે કોર્પોરેશન, પોલીસ અને એસ.આર.પી.ની સંયુક્ત કાર્યવાહી સતત ચાલુ રહેશે.


