અમદાવાદ : ગત બુધવારે ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી જેમાં રાજ્યના નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નવા સત્રમાં શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ કે વાલીઓને આવક દાખલા માટે ધક્કા ખાવા નહીં પડી, તેના સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો હવે ઓનલાઈન મળશે. જેનો 80 લાખ લોકોને લાભ થશે.
રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, બુધવારે યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા શરૂ થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે. આ માટે સરકારી કચેરીઓમાં મોટી લાઈનો લાગતી હતી અને વાલીઓને એડમિશનની ચિંતા સાથે દાખલાની સમયમર્યાદાની મુશ્કેલીઓ પણ ભોગવવી પડતી હતી.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપી છે કે આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે ઓનલાઇન અને ફેસલેસ બને તે સુનિશ્ચિત કરવામાં આવે. તેના પરિણામે 70 થી 80 લાખ પરિવારને સીધો લાભ મળશે અને લોકોને અલગ-અલગ સરકારી કચેરીઓમાં દોડવું નહીં પડે. આ નિર્ણયના કારણે લાખો પરિવારને મોટો ફાયદો થવાનો છે.


