અમદાવાદ : શહેરમાં આવેલા કુલ 6 મહત્વના ઓવરબ્રિજનું રિપેરિંગ કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ નિર્ણય બ્રિજોના ઈન્સ્પેક્શન બાદ લેવામાં આવ્યો છે, જેમાં બેરિંગ ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. ઈન્સ્પેક્શન રિપોર્ટના આધારે તાત્કાલિક રિપેરિંગ કરવાની ભલામણ કરવામાં આવી છે.આ રિપેરિંગ પ્રોજેક્ટ માટે અંદાજે 68 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આગામી 12 મહિનાની અંદર આ તમામ 6 બ્રિજમાં જરૂરી મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા શહેરમાં મુખ્ય છ રેલવે ઓવરબ્રિજ સહિતના અલગ અલગ બ્રિજમાં નાના-મોટા રીપેરીંગ કરવામાં આવશે. શાહીબાગ ગિરધરનગર, અસારવા ચામુંડા, મણીનગર નાથાલાલ ઝઘડા, ઘોડાસર કેડીલા, સાબરમતી ચીમનભાઈ પટેલ અને ચાંદલોડિયા બ્રિજમાં મોટા રીપેરીંગ કરવામાં આવશે. બીજામાં નાના રીપેરીંગ કરવામાં આવશે જેમાં બ્રિજના 20 મીટર તથા 30 મીટર સુધીના કુલ 152 સ્પાન લીફટીંગ કરી બેરીગ રીપ્લેસમેન્ટ કરાશે. તેમજ 1,746 બેરિંગનું રિપ્લેસમેન્ટ કરવામાં આવશે.
રિપેરિંગ દરમિયાન સામાન્ય વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે, પરંતુ સલામતીના કારણોસર હેવી વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ બંધ કર્યા વિના કામગીરી કરવામાં આવશે જેથી શહેરના ટ્રાફિક પર ઓછો પ્રભાવ પડે.પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે રિપેરિંગ પૂર્ણ થયા બાદ બ્રિજોની સલામતી અને આયુષ્યમાં વધારો થશે, જે શહેરના વાહનવ્યવહાર માટે મહત્વપૂર્ણ સાબિત થશે.


