અમદાવાદ : અમદાવાદમાં આગામી 1 એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતી નદીમાં પાણી બંધ રાખવામાં આવનાર હોવાના કારણે અઢી મહિનામાં સુભાષ બ્રિજના તમામ ઉપરના સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવશે. જેના માટે ડિમોલિશન ડિઝાઇન પણ મંજૂરી માટે મોકલવામાં આવી છે. જે બાદ એપ્રિલ મહિનાથી સ્ટ્રકચર તોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે.સુકા નદીના પટને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) સુભાષ બ્રિજ તોડી પાડવાનું કામ ઝડપથી કરી શકશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના અમદાવાદ ડિવિઝન દ્વારા 1 એપ્રિલથી 15 જૂન સુધી સાબરમતી નદીને ખાલી કરવામાં આવનાર છે. બેરેજ બંધ કરવાનો નિર્ણય ચોમાસા પહેલા ડેમની સેફ્ટી અંગે કરવામાં આવેલા નિરિક્ષણ બાદ લેવામાં આવ્યો હતો. નિરિક્ષણ દરમિયાન નિષ્ણાતોએ વાસણા બેરેજના 30 માંથી 18 દરવાજા બદલવાની ભલામણ કરી હતી, જ્યારે બાકીના દરવાજાઓનું સમારકામ ચોમાસા પહેલા કરવામાં આવશે.1976માં બનેલ આ બેરેજ અમદાવાદમાં પૂર નિયંત્રણ અને પાણીના નિયમનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કામ હાથ ધરવા માટે, બેરેજ પર સંગ્રહિત પાણીને ફતેહવાડી કેનાલ અને સાબરમતીના ડાઉનસ્ટ્રીમ વિભાગોમાં છોડવામાં આવશે, જેના કારણે સમારકામના સમયગાળા દરમિયાન નદીના કાંઠાના વિસ્તારમાં પાણી રહેશે નહીં.સૂત્રો અનુસાર સિંચાઈ વિભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ટોરેન્ટ પાવર અને નદીના પાણી પર આધાર રાખતી અન્ય સરકારી તેમજ ખાનગી એજન્સીઓને બંધ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચનાઓ જારી કરી છે.
દરમિયાન, નદીમાં પાણી ન હોવાથી, AMC પૂર્વ અને પશ્ચિમ ભાગોને જોડતા સુભાષ બ્રિજના ડેમેજ થેયલા ભાગને તોડી પાડવાનું કામ હાથ ધરે તેવી સંભાવના છે. પાલિકાએ અહીં રૂ. 235 કરોડના ખર્ચે નવા બ્રિજને મંજૂરી આપી છે.


