અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર AMTS બસના ચાલકની બેદરકારી સામે આવી છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર બેફામ ચાલતી AMTS બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કૃષ્ણનગરમાં સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જતાં માર્ગ પર આ અકસ્માત સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, માર્ગ પરથી પસાર થઈ રહેલા એક બળદ ગાડાને AMTS બસના ચાલકે અચાનક પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરમાં બળદ ગાડામાં સવાર એક વૃદ્ધ વ્યક્તિ ફંગોળાઈને જમીન પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ સાથે જ અબોલ જીવ એવા બળદને પણ શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળેલા સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો હતો અને AMTS બસમાં ભારે તોડફોડ કરી હતી. લોકોના રોષને જોતા બસ ચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. પરિસ્થિતિ વણસતા કૃષ્ણનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ટોળાને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો.
આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે બસ ચાલકની બેદરકારીને કારણે જ આ અકસ્માત સર્જાયો હતો. કૃષ્ણનગર પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને બસચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તોડફોડ કરનારા તત્વો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.


