અમદાવાદ : અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટા ખુલાસા થવા પામ્યા છે. મૃતક બાળકીના દાદા-દાદીના શંકાસ્પદ નિવેદનો સામે આવ્યા છે. બાળકીના મોત સમયે દાદા-દાદી અને માતા-પિતા ચારેયના નિવેલન અલગ અલગ સામે આવ્યા છે.હવે આ કેસમાં સત્ય બહાર લાવવા માટે પોલીસ લાઈ ડિટેકશન ટેસ્ટનો સહારો લેવા જઈ રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાળકીના મોત કેસમાં માતા-પિતા અને દાદા-દાદીની સંડોવણીની આશંકા છે. પુત્ર પ્રાપ્તિના મોહમાં બાળકીના મોતનું કારણ હોવાની શક્યતાઓ છે. પોલીસે બાળકીના પિતાની પૂછપરછ શરૂ કરી છે. બાળકીના માતા-પિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ પૂછપરછ શરૂ કરી છે. ઢોંસાના ખીરૂ ખરીદવાથી લઈને બાળકીનૈ મોતના ઘટનાક્રમ મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દાદા-દાદીના નિવેદન શંકાસ્પદ ગતિવિધિ ખુલતા તપાસ શરૂ કરી છે. ચાંદખેડા પોલીસે FSL રિપોર્ટ અને PM રિપોર્ટ મેળવવાનું શરૂ કર્યું છે.
ગઈકાલે 10 એપ્રિલે બંને બાળકીના પિતા વિમલની પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓએ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં પૂછપરછ દરમિયાન વિમલએ પોતાની દીકરીઓની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો છે. ખીરુ ખરાબ હોવાનું અને ખાવાની વસ્તુમાં ઝેરી પદાર્થ આવી જવાથી આ દુર્ઘટના બની હોવાનું પિતાનું એક જ રટણ રહ્યું હતું.
બાળકીના એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કોર્ટની મંજૂરીથી લાઈ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવશે. હાલ પોલીસ આ ઘટના અકસ્માત છે કે હત્યા તે અંગે અવઢવમાં છે, ત્યારે હવે માતા ભાવનાબેનને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમની પૂછપરછ અને FSL રિપોર્ટ આવ્યા પછી જ આ સમગ્ર મામલે સત્ય બહાર આવશે.
તમને જણાવી દઈએ કે ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે


