અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વોર્ડમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે. ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વેદાંત સ્કાય લાઇન સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે રોષે ભરાઈને તમામ રાજકીય પક્ષોનો બહિષ્કાર જાહેર કર્યો છે. સોસાયટીના મુખ્ય દરવાજા પર મોટા બેનરો લગાવી દેવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, “કોઈપણ રાજકીય પક્ષના નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.”
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 વર્ષથી તેઓ રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે. વરસાદ સમયે રસ્તા પર ગોઠણસમા પાણી ભરાઈ રહે છે અને રોડ ઊંચો કરી દેવાને કારણે પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાય છે. ગંદકીના કારણે ઘરે-ઘરે રોગચાળો ફેલાયો છે, છતાં તંત્ર માત્ર ખોટા આશ્વાસનો જ આપી રહ્યું છે.
રહીશોમાં સૌથી વધુ નારાજગી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે થતા ભેદભાવને લઈને છે. સ્થાનિકોનું કહેવું છે કે પશ્ચિમ વિસ્તારમાં તમામ સુવિધાઓ મળી રહે છે, તો પૂર્વ વિસ્તારને કેમ અન્યાય? ધૂળ, ગંદકી અને ખરાબ રસ્તાઓને કારણે બાળકો અને સિનિયર સિટિઝનોની હાલત કફોડી બની છે. નોકરીએ જતા લોકો અને શાળાએ જતા બાળકો માટે કાદવમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.
વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા, હવે રહીશોએ ‘કામ નહીં તો વોટ નહીં’ નું સૂત્ર અપનાવ્યું છે. રહીશોનું કહેવું છે કે હવે માત્ર વાયદાઓથી કામ નહીં ચાલે. જ્યાં સુધી રસ્તા અને ગટરની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પક્ષના ઉમેદવારને સોસાયટીમાં પગ મૂકવા દેવામાં આવશે નહીં.


