અમદાવાદ : જનતા પાસેથી ટેક્સના નામે વસૂલવામાં આવતા કરોડો રૂપિયાનો સદુપયોગ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કોર્પોરેટરો સદંતર નિષ્ફળ સાબિત થયા છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, છેલ્લા ચાર વર્ષમાં વિકાસ કામો માટે ફાળવવામાં આવેલા કરોડોના ફંડમાંથી મોટી રકમ વણવપરાયેલી પડી રહી છે, જ્યારે વપરાયેલી રકમમાં પણ નિયમોના ધજાગરા ઉડાડીને બિનજરૂરી ખર્ચ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્પોરેટરોને વિસ્તારનાં વિકાસ કામો માટે દર વર્ષે બજેટ ફાળવવામાં આવે છે. છેલ્લાં ચાર વર્ષમાં (2021થી 2025) કોર્પોરેટરોને કુલ 268.80 કરોડનું બજેટ ફાળવાયું હતું, જેમાંથી તેઓ 67.20 કરોડ વાપરી જ શક્યા નથી અને 25 ટકા રકમ વપરાયા વગર પરત ગઈ છે.વર્ષવાર સ્થિતિ જોઈએ તો:
વર્ષ 2021-22માં 57 કરોડ 60 લાખ મળ્યા જેમાંથી 37 કરોડ 3 લાખ 16 હજાર વપરાયા, વર્ષ 2021-22માં કુલ બજેટના 64.29 કરોડ ખર્ચ થયા જયારે 35.71% બજેટ ઉપયોગ વગર પડ્યું રહ્યું.
વર્ષ 2022-23માં 57 કરોડ 60 લાખ મળ્યા જેમાંથી 48 કરોડ 21 લાખ 37 હજાર વપરાયા, વર્ષ 2022-23માં કુલ બજેટના 83.59 કરોડ ખર્ચ થયા જયારે 16.29% બજેટ ઉપયોગ વગર પડ્યું રહ્યું.
વર્ષ 2023-24માં 76 કરોડ 80 લાખ મળ્યા, જેમાંથી 62 કરોડ 66 લાખ 68 હજાર વપરાયા, વર્ષ 2023-24માં કુલ બજેટના 81.59 કરોડ ખર્ચ થયા જયારે 16.40% બજેટ ઉપયોગ વગર પડ્યું રહ્યું.
વર્ષ 2024-25માં 76 કરોડ 80 લાખ મળ્યા જેમાંથી 53 કરોડ 68 લાખ 40 હજાર વપરાયા, વર્ષ 2024-25માં કુલ બજેટના 69.90 કરોડ ખર્ચ થયા જયારે 30.10% બજેટ ઉપયોગ વગર પડ્યું રહ્યું.(સ્રોત: મ્યુનિ.ની બજેટ બુક)
નવાઈની વાત તો એ છે કે સમગ્ર બજેટના પૈસા રસ્તા, ગટર, પાણી કે લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓ પાછળ વાપરવાના હતા, તેના બદલે તેનો ઉપયોગ નિયમ વિરુદ્ધ જઈને કરવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, વોર્ડ ઓફિસમાં AC લગાવવા માટે કોઈ સત્તાવાર ઠરાવ ન હોવા છતાં જનતાના પૈસે કોર્પોરેટરોએ ઠંડક મેળવી છે. આ ઉપરાંત તિરંગાની ખરીદીમાં પણ કોઈ પણ ઠરાવ વગર આડેધડ ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
જો કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલા ખર્ચની વાત કરવામાં આવે તો બજેટનો સૌથી વધુ ખર્ચ સોસાયટીઓના નામના બોર્ડ અને બાંકડા પાછળ કરાયો છે, જે વિકાસના મુખ્ય કામોની સરખામણીએ ગૌણ બાબત ગણાય. રાજ્ય સરકારના કડક ધારાધોરણો હોવા છતાં, અનેક કિસ્સાઓમાં નિયમોને નેવે મૂકીને ખર્ચ કરવામાં આવ્યો છે.
એક તરફ અમદાવાદીઓ બિસ્માર રસ્તા, ચોમાસામાં ભરાતા પાણી અને ટ્રાફિક જેવી પાયાની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે બીજી તરફ જનતાના પ્રતિનિધિઓ વિકાસના નાણાં વાપરવામાં આળસ કરી રહ્યા છે. જે નાણાંનો ઉપયોગ જનતાની સુવિધા વધારવા માટે થવો જોઈએ, તે સરકારી તિજોરીમાં પડી રહ્યા છે અથવા બિનજરૂરી મોજશોખ પાછળ ખર્ચાઈ રહ્યા છે.


