અમદાવાદ : દેશના સૌથી ઝડપથી વિકસતા મહાનગરોમાંનું એક, અંદાજે ૯૦ લાખની વસ્તી ધરાવતું આ શહેર હવે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયાર થઈ રહ્યું છે. આ ગૌરવની ક્ષણ સાથે શહેરના વહીવટી તંત્ર માટે જવાબદારીઓ પણ વધી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યક્ષમતા વધારવી હવે સમયની માંગ બની ગઈ છે.
જાગૃત નાગરિક અને સોશિયલ મિડીયાના જાણકાર પ્રણવ વસાવડા મુજબ, તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ નવા કોર્પોરેટરો સામે નાગરિકોની અપેક્ષાઓ વધુ વધી છે. 5G અને AI ના યુગમાં શાસન વ્યવસ્થા વધુ પારદર્શક અને સક્રિય બને તે જરૂરી છે. દરેક વિસ્તારના કોર્પોરેટરોના સોશિયલ મીડિયા હેન્ડલ અને કાર્યાલયની માહિતી સરળતાથી નાગરિકોને ઉપલબ્ધ થાય તો લોકો પોતાના પ્રશ્નો ઝડપથી રજૂ કરી શકે અને તંત્ર તરફથી ત્વરિત પ્રતિસાદ મળી શકે.
તેઓ જણાવી રહ્યા છે કે શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગની અછત આગામી સમયમાં ગંભીર સ્વરૂપ લઈ શકે છે. રોજબરોજ વધતી વાહનોની સંખ્યા વચ્ચે જાે લોક પ્રતિનિધિઓ પોતે જાહેર પરિવહન સેવાઓનો ઉપયોગ કરે તો તે નાગરિકોમાં સકારાત્મક સંદેશ આપશે. મહિને એક વાર પણ જાહેર પરિવહનનો ઉપયોગ કરીને નેતાઓને જમીન સ્તરની સમસ્યાઓની વધુ સારી સમજ મળી શકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઝોન આધારિત ફરિયાદ વ્યવસ્થા વિકસાવવાની પણ જરૂર છે. જેમ કે પોલીસ તંત્ર સોશિયલ મીડિયા દ્વારા ફરિયાદોનું નિવારણ કરી રહ્યું છે, તેવી જ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઝોનવાઇઝ સોશિયલ મીડિયા એકાઉન્ટ શરૂ કરવામાં આવે તો કામનું વહેંચાણ સરળ બનશે અને સમસ્યાઓનો ઝડપી ઉકેલ મળી શકે.
આ ઉપરાંત જાહેર પરિવહન સેવાઓ જેવી કે AMTS અને BRTS નો ઉપયોગ લાખો નાગરિકો કરે છે, છતાં તેમાં આવતી સમસ્યાઓ માટે કોઈ અસરકારક હેલ્પલાઇન ઉપલબ્ધ નથી. જો સક્રિય હેલ્પલાઇન શરૂ કરવામાં આવે તો મુસાફરોની મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ આવી શકે.
આ ઉપરાંત વધતી ગરમી સામે રક્ષણ મેળવવા માટે ગ્રીન કવર વધારવાની પણ તાત્કાલિક જરૂર છે. મેટ્રો પિલરો વચ્ચે વૃક્ષારોપણ કરવામાં આવે તો તાપમાન ઘટાડવામાં મદદ મળી શકે અને શહેર વધુ પર્યાવરણમિત્ર બની શકે.આ તમામ સૂચનો અમલમાં મુકવામાં આવે તો અમદાવાદ શહેર વિકાસ સાથે સુવ્યવસ્થિત અને નાગરિકમૈત્રી બની શકે છે.


