અમદાવાદ : શહેરના વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર YMCA ક્લબ નજીક નિર્માણધીન બ્રિજની સાઈટ પર આજે એક કમકમાટીભરી દુર્ઘટના સર્જાઈ હતી. પૂરઝડપે જતી બસના કારણે સર્જાયેલા હવાના દબાણથી લોખંડનું બેરિકેડ રિક્ષા પર પડતા રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષા નીચે દબાઈ જવાથી એક મુસાફરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મુસાફરોને ઈજાઓ પહોંચી છે.
રિપોર્ટ મુજબ, શહેરના ત્રાગડ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય અજય મહતો મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 3 મેના રોજ સવારે તેઓ ચાંગોદર ખાતે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરીકામે જવા માટે રિક્ષામાં બેઠા હતા. સવારે જ્યારે તેમની રિક્ષા એસ.જી. હાઇ-વે પર YMCA ક્લબ પાસે વેસ્ટગેટ બિલ્ડિંગની સામે પહોંચી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રિક્ષાની આગળથી એક બસ પસાર થઈ ત્યારે તેના પવનના વેગને કારણે અયોગ્ય રીતે લગાવેલું આ પતરું ઉખડીને રિક્ષા પર પડ્યું હતું.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર અજય નામના યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસ તથા 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણથી ચાર મુસાફરોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
આ સમગ્ર ઘટનાએ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. નિયમ મુજબ બાંધકામની સાઈટ પર સુરક્ષાના કડક માપદંડો હોવા જોઈએ, પરંતુ અહીં ડાયવર્ઝન માટે મુકેલા પતરા યોગ્ય રીતે ફિક્સ કરવામાં આવ્યા ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ લાલિયાવાડી હજુ કેટલા નિર્દોષ લોકોના જીવ લેશે? હાલ સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


