અમદાવાદ : અમદાવાદના અસારવા અને ચમનપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા માંસ અને મટનના વેચાણ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એરપોર્ટથી નજીકનો વિસ્તાર આવેલો છે ત્યારે કોઈપણ પ્લેન ઉડતી વખતે બર્ડ હિટ થવાની સંભાવના રહેલી છે જેના પગલે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર વેપારીઓ સામે હવે પોલીસ ફરિયાદ સુધીના કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના અસારવા વિસ્તારમાં આવેલા હોળી ચકલા અને ચમનપુરા જેવા ગીચ વિસ્તારોમાં માંસ, માછલી, ચિકન અને મટન જેવી નોનવેજ વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ વિસ્તારો સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની અત્યંત નજીક આવેલા છે, જેના કારણે અહીં ખુલ્લામાં વેચાતા માંસને કારણે આકાશમાં પક્ષીઓનો જમાવડો વધતો જતો હતો. આ પક્ષીઓના કારણે ‘બર્ડ હિટ’ની ઘટનાઓ બનવાનું જોખમ વધી જાય છે, જે વિમાનના ટેક-ઓફ અને લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે. પ્લેનની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ન થાય તે માટે તંત્ર દ્વારા આ વિસ્તારોમાં નોનવેજ વેચનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી અસારવાના ચમનપુરા અને હોળી ચકલા વિસ્તારમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધના જાહેર નોટિસના બેનર લગાવી દીધા છે. બેનરમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર જનતાને જણાવવાનું કે હોળી ચકલા-સમનપુરા વિસ્તારમાં ફીશ-ચીકન તથા મીટ નું વેચાણ થતું હોવાથી સમડી, ગીધ જેવા પક્ષીઓ વિપુલ પ્રમાણમાં ત્યાં ઉડે છે, જેના લીધે પ્લેન સાથે બર્ડ હિટીંગ થવાની શક્યતાં વધી જાય છે.
આ જગ્યા પ્લેનના ટેક ઓફ વે તથા લેન્ડીંગ વે હોવાથી ધ ભારતીય વાયુયાન વિધેયક-2024ની કલમ 25 (2) તથા ધ એસ્ક્રાફટ રુલ્સ-1937 ના રૂલ્સ 91 મુજબ એરોડ્રામ સંદર્ભ બિંદુથી 10 કિ.મી.ત્રિજયામાં અહીં કોઈ હોનારત ના થાય તે માટે આ જગ્યાં હોળી ચકલા-ચમનપુરા વિસ્તારમાં ફિશ તથા મીટનું વેચાણ કરતાં વેન્ડર્સ તથા દુકાનદારોને અહીં વેચાણ કરવા દેવા પર સ્પષ્ટ-પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે. જો તેમ કરવામાં કસૂર થશે, તો આપના વિરુધ્ધ ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-125(બી) હેઠળ 3 વર્ષ સુધીની સખત કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ થશે.
અસારવા વિસ્તારમાં હોળી ચકલા અને ચમનપુરા જે ચામુંડા બ્રિજનો વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં બકરા બજાર અને ફિશ માર્કેટ ભરાય છે જેના કારણે થઈને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પક્ષી – સમડીઓ ઉડતી હોય છે. ઘણી વખત વાહનચાલકોને પણ હેરાનગતિ થતી હોય છે એટલી મોટી પ્રમાણમાં પક્ષીઓ ઉડતા હોય છે ત્યારે હવે આ વિસ્તારમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


