અમદાવાદ : રાજકારણમાં જ્યારે જનપ્રતિનિધિઓ અને સામાન્ય જનતા વચ્ચેના સંપર્કને લઈને અવારનવાર ફરિયાદો થતી હોય છે, ત્યારે અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહે એક પ્રશંસનીય અને અનુકરણીય પહેલ કરી છે. તેમણે મતવિસ્તારના નાગરિકોની સુવિધા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની તમામ વિગતો જાહેર પ્લેટફોર્મ પર મૂકીને ‘ડિજિટલ પારદર્શિતા’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વિગતો મુજબ, શહેરના એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ દ્વારા તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના નવનિયુક્ત મ્યુનિસિપલ કાઉન્સીલરોની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી છે. આ માહિતીમાં કાઉન્સીલરોના નામ, સરનામા અને મોબાઈલ નંબરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી સામાન્ય નાગરિકો પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો માટે સીધો સંપર્ક કરી શકે.ધારાસભ્યશ્રીએ સાથે સાથે પોતાના કાર્યાલયના સંપર્ક નંબર અને સરનામાની માહિતી પણ જાહેર કરી છે. ઉપરાંત સંસદ સભ્ય દીનેશ મકવાણાના કાર્યાલયનું સરનામું અને ફોન નંબર પણ પ્રજાજનો માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ માહિતીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સામાન્ય નાગરિકોને પોતાના વિસ્તારના કામ માટે કોઈની ભલામણની જરૂર ન પડે અને તેઓ સીધો જ પોતાના પ્રતિનિધિનો સંપર્ક કરી શકે.
એક સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે, “આ સંપૂર્ણ માહિતી સામાન્ય લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. આપ પ્રજાના હિત માટે સતત સારા કાર્યો કરી રહ્યા છો. આજના સમયમાં લગભગ કોઈપણ જાહેર પ્રતિનિધિ પોતાના સરનામા અને ફોન નંબર ખુલ્લેઆમ જાહેર કરતા નથી.”
સ્થાનિકોમાંથી કેટલાક લોકોએ એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો કે રાજ્યના અન્ય તમામ ધારાસભ્યોએ પણ આ પ્રકારની પહેલ કરવી જોઈએ, જેથી જનતા અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બની શકે.
રાજકીય અને સામાજિક વર્તુળોમાં ધારાસભ્ય અમિતભાઈ શાહની આ પહેલને પારદર્શિતા, જવાબદારી અને લોકસંપર્ક વધારવાના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.


