અમદાવાદ : અમદાવાદના વ્યસ્ત ગણાતા એવા રાણીપ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો છે. ઓવરબ્રિજ પર મધરાતે કાળમુખો અકસ્માત સર્જાતા સનસનાટી મચી ગઈ છે. રાત્રિના સુમસામ રસ્તા પર બનેલી આ ઘટનાએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. મધરાતે બનેલા આ કરુણ બનાવ પાછળ ઓવર સ્પીડ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં બલોલનગર બ્રિજના વળાંક પર અકસ્માત થઈને નીચે પડવાનો આ બીજો બનાવ છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી પસાર થતા બલોલ નગર રેલવે ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 52 વર્ષીય અતુલભાઈ રમેશભાઈ પંચાલ નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. અતુલભાઈ રાત્રિના સમયે પોતાના ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા. બલોલ નગર બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક બાઈક પરથી તેમણે કાબૂ ગુમાવ્યો હતો. આ આકસ્મિક બનાવમાં બાઈક સવાર સીધા બ્રિજ નીચે પટકાયા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, અકસ્માત સમયે બાઈકની ગતિ અંદાજે 60 કિમી પ્રતિ કલાકની હતી. મોડી રાત્રે અંદાજે 1:30 વાગ્યે રસ્તાઓ ખાલી હોવાથી ઓવરસ્પીડમાં વાહનચાલકે કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બેકાબૂ બાઈક બાઈક બ્રિજની દીવાલ સાથે અથડાઈ હશે અથવા સ્લિપ થઈ હશે. આ ભયાનક ઝટકાને કારણે અતુલભાઈ હવામાં ફંગોળાઈને સીધા નીચે પટકાયા હતા. આ ગંભીર પતનને લીધે તેમને બચવાની કોઈ તક મળી નહોતી.
આ અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. L ટ્રાફિક પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતક અતુલભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યું છે. પોલીસે અકસ્માત અકસ્માતે મોતનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


