અમદાવાદ: શહેરમાં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા તથા રસ્તા તૂટી જવા કે કપચીઓ ઉખડી જવાની સમસ્યાઓ સામે આવતી હોય છે.જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરમાં જ્યાં પણ તૂટેલા રોડ છે, તેને ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ આદેશ આપ્યા છે. પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે શહેરમાં જ્યાં પણ તૂટેલા રોડ છે અથવા નવા રોડ બનાવવાના છે, તેની કામગીરી 31 મે પહેલા પૂર્ણ થઈ જાય તેની સૂચના આપી દેવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા કુલ 142 જેટલા રોડ પૂર્ણ કરવાના છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. શહેરના બોપલ, ઘુમા, થલતેજ, ચાંદલોડિયા, ગોતા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં સૌથી વધુ 27 જેટલા રોડ ચોમાસા પહેલા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે તો પશ્ચિમ ઝોનમાં પણ સાબરમતી, ચાંદખેડા, વાસણા, પાલડી, વાડજ, નારણપુરા ઘાટલોડીયા સહિતના વિસ્તારોમાં 20થી વધુ રોડ બનાવવાના છે.
ગુજરાત હાઇકોર્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામું રજૂ કર્યું, જેમાં 1722 જેટલા સ્થળોએ સમારકામની આવશ્યકતા હોવાની રજૂઆત કરી હતી. ચોમાસા પહેલા શહેરમાં કુલ 95,642 મીટર લંબાઈના રોડ બનાવવાના છે. પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૂપે અલગ-અલગ વિભાગો દ્વારા વિભાગીય કામગીરીઓ વરસાદને અનુલક્ષીને શરૂ કરવામાં આવી છે. આ તરફ રોડ વિભાગ દ્વારા પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.


