28.7 C
Gujarat
Wednesday, October 23, 2024

અમદાવાદનું સૌથી મોટું શટલિયા નેટવક, સુભાષબ્રીજ સર્કલની આસપાસ ઇકો-સીએનજી રિક્ષાનો અડીંગો…!!

Share

અમદાવાદ : અમદાવાદ શહેરના પ્રવેશ દ્વાર એવા સુભાષબ્રીજ સર્કલની આસપાસ 100 થી વધુ ઈકો ગાડીઓ, સીએનજી રિક્ષા, તથા અન્ય નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદે મુસાફરોની અવરજવર કરવામાં આવી રહી છે. મુસાફરોને બેસાડવાની ચડસાચડસી, વધુ મુસાફરો ભરીને વધુ નાણાં કમાવવાની લાલસા અને ધંધાકીય સ્પર્ધામાં મુસાફરોના જીવન સાથે ચેડાં થઇ રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. આ મામલે સ્થાનિકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈને પોલીસ કમિશ્નર, આરટીઓ સહિતના તંત્રને અનેકો રજૂઆત છતાંયે તંત્ર દ્વારા કાયમી નિરાકરણરૂપી કામગીરી કરવામાં ન આવ્યાનું ચિત્ર જોવા મળે છે.

સુભાષબ્રીજ સર્કલ પાસે આવેલ એક કોમ્પલેક્ષના વેપારીના જણાવ્યાનુસાર બસ સ્ટેન્ડથી માંડ 100 મીટર દૂર સુભાષબ્રીજથી અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળે જતી સીએનજી રિક્ષાચાલકોનો સવારથી અડીંગો જામે છે. જેના કારણે સ્થાનિક વેપારીઓને ધંધો-રોજગાર કરવામાં તકલીફો વેઠવી પડી રહી છે. આ ઉપરાંત સુભાષબ્રીજ સર્કલ પાસે નવી આરટીઓ કચેરીની આગળ પણ કોમ્પલેક્ષના પાર્કિગમાં પણ સીએનજી રિક્ષાઓનો અડીંગો સવારથી જામી જાય છે. જેમાં માથાભારે સીએનજી ચાલકો વેપારીઓ અને ગ્રાહકો સાથે અવારનવાર ઝઘડા કરીને વાતાવરણ ડહોળી રહ્યાનું સાંભળવા મળી રહ્યું છે.

આ ઉપરાંત સુભાષબ્રીજ સર્કલ પાસે ચીમનભાઈ પટેલ બ્રીજ તરફ જવાના રોડ પર પણ શટલિયા રીક્ષાઓનો ત્રાસ હોવાનું જાણવા મળ્યું છે.અહીં પણ રસ્તા વચ્ચોવચ ઉભી રાખીને અવરજવર કરતા અન્ય વાહનચાલકો બિનજરૂરી ટ્રાફિકજામમાં ફસાય છે, જેને કારણે ઓફિસ અવર્સ દરમ્યાન કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળતી હોય છે.

આ ઉપરાંત થોડે આગળ જઈએ તો સુભાષબ્રીજ એસ ટી બસ સ્ટેન્ડ પાસે અમદાવાદથી મહેસાણા, પાટણ, રાધનપુર સહિત ઉત્તર ગુજરાત તરફ જવા માટે ઈકો ગાડીમાં મુસાફરોને બેસાડવાની સ્પર્ધા જામે છે. જેમાં માથાભારે ચાલકો દ્વારા મુસાફરો સાથે પણ અવારનવાર ઝઘડા કરવામાં આવે છે. આ અંગે નજીકના પોલીસ સ્ટેશનને વારંવાર રજૂઆત છતાંયે પોલીસ અને ઈકોચાલકો વચ્ચે ’મનમેળ’ હોવાના કારણે સ્થિતિ જૈસે થે જોવા મળે છે. બીજી તરફ મુસાફરો બેસાડવાની લ્હાયમાં શટલિયા ઈકોચાલકો રોડની વચ્ચે ઊભા રહી જાય છે. જેથી આ માર્ગ અવરજવર કરતા અન્ય વાહનચાલકો, રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

એસ.ટી.બસ સ્ટેન્ડની આસપાસમાં શટલિયા વાહનો ઊભા ન રહી શકે તે નિયમનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યાનું ટ્રાફિક પોલીસ, એસ.ટી.કર્મચારીઓ-અધિકારીઓ જોઇ રહ્યા હોવા છતાંયે નિયમપાલન માટે કોઇ કાર્યવાહી હાથ ધરતા ન હોવાનો રોષ સ્થાનિક વેપારીઓએ વ્યકત કર્યો હતો. જો કે જાગૃત વેપારીઓના જણાવ્યાનુસાર શટલિયા રિક્ષાચાલકોની દાદાગીરી અને આડેધડ પાર્કિગ સહિતની બાબતે મુખ્યમંત્રી ઓનલાઇન કાર્યક્રમમાં આ પેચીદો પ્રશ્ન રજૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જો આ સત્ય હોય તો મુસાફરોના જીવન સાથે ચેડાં કરનાર ચાલકો સામે કાર્યવાહીની સાથે હપ્તારૂપી ભ્રષ્ટાચારને અટકાવવા ઉચ્ચકક્ષાએથી સત્વરે કાર્યવાહી થવી જરૂરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles