ગાંધીનગર: છેલ્લા અઠવાડીયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. હાલ ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે વાઇરસ હવે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પણ બેકાબૂ બનવાની તૈયારી કરી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ કેસ 35 અને મૃત્યુઆંક વધીને 21 થયો છે. અત્યારસુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે.
આ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજ (એનકેફેલાઇટીસ) નો શિકાર થાય છે. ચાંદીપુરા કે વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. આ કોઇ નવો રોગ નથી. આ વાયરસ ૦ માસ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. ચાંદીપુરા વાઇરસ એ સામાન્ય રીતે સેન્ડફલાય(માખી) તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે. આ સેન્ડફલાય(માખી) લીંપણવાળાં ઘરોમાં કે માટીનાં ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે.સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ રોગ જોવા મળે છે.
જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટનાં પાકાં મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે. ઓછા ઉજાસવાળો કે અંધારો કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ સેન્ડ ફ્લાયનું બ્રિડિંગ જોવા મળતું હોય છે. આ ચેપી રોગ નથી. એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે.
માટીનાં ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતાં 0 થી 14 વર્ષ સુધી બાળકોમાં અન્યોની સરખામણીએ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, જેને કારણે આ બીમારી સામે લડવાની તેમની ક્ષમતા ઓછી હોવાથી આ રોગ થાય છે.
વાયરલ એન્કેફેટિલાઇટીસના લક્ષણો
1) બાળકને સખત તાવ આવવોૉ
2) ઝાડા, ઉલટી થવા
3) ખેંચ આવવી
4) અર્ધબેભાન કે બેભાન થવું.
જો ઉપર જણાવેલ લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલીક લઇ જઇ સારવાર કરાવવી.
વાયરલ એન્કેફેટિલાઇટીસ કે ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા શું કરવું?
1) બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધૂળમાં) રમવા દેવા નહી.
2) બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.
3) સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા.
4) મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
સેન્ડફ્લાયની સાઇકલ શું છે?
1) નર અને માદા માખી ગીચ ઝાડીમાં વિકસે છે
2) 6થી 13 દિવસમાં સંપૂર્ણ વિકસી જાય છે
3) સવારે અને સાંજે વધારે એક્ટિવ રહે છે.
4) ઈંડાંમાંથી ઈયળ, એમાંથી કોશેટો અને એમાંથી માખી બને છે.
5) જન્મના 30 દિવસ પછી ખોરાક તરીકે વનસ્પતિ લે છે.
6) દરેક માદા સરેરાશ 30થી 70 ઈંડાં મૂકે છે.
7) શિયાળો આવે ત્યાં સુધીમાં લગભગ તમામ માખી નાશ પામે છે.
રોગની સારવાર : આરામ કરવો, પૌષ્ટિક આહાર અને વઘુમાત્રામા પાણી પીવું. રોગચાળો અટકાવાના ઉપાયો : સેન્ડ ફ્લાયની ડેન્સીટી વરસાદી ઋતુમાં વધુ હોય છે. મેલેથીયોન 5% પાવડર દ્વારા ડસ્ટીગં કામગીરી કરવામાં આવે છે.વિના મુલ્યે નિદાન તમામ સારવાર અને દવા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્વો અને સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે. આવા લક્ષણો ધરાવતા કોઇ કેસ તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક સારવારના પગલાં લેવા અને ડોક્ટરની સલાહ લેવી જરૂરી બને છે.


